Haryana News: હરિયાણામાં (Haryana) ભાજપના નેતા નાયબ સિંહ સૈની (Nayab Sinh Saini) સર્વસંમતિથી ચૂંટાયા બાદ આજે ચંદીગઢમાં હરિયાણાના 20મા મુખ્યમંત્રી (Oath of Chief Minister) તરીકે શપથ લેશે. ભાજપના ધારાસભ્ય કૃષ્ણ કુમાર બેદીએ સૈનીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો અને પાર્ટીના વરિષ્ઠ નેતા અનિલ વિજે તેને સમર્થન આપ્યું હતું. ત્યારે આ શપથ વિધિમાં ભાગ લેવા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આજે હરિયાણા જશે. આ શપથ વિધિ બાદ ચંદીગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાનારી ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની સી .એમ કોંકલેવમાં પણ ભુપેન્દ્ર પટેલ ભાગ લેવાના છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કેન્દ્રીય નિરીક્ષક તરીકે બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠક બાદ સૈનીએ હરિયાણામાં આગામી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. આ તેમનો બીજો કાર્યકાળ હશે. તેમણે આ વર્ષે માર્ચમાં જ મનોહર લાલ ખટ્ટરના બદલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભાજપની પરંપરાથી અલગ થઈને પક્ષે રાજ્ય માટે કોઈ નાયબ મુખ્યમંત્રીની જાહેરાત કરી નથી.
અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી કાર્યકર્તાઓવતી સૈનીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે હરિયાણામાં ભાજપની જીતનો શ્રેય મોદી સરકારની નીતિઓને આપ્યો. આજે યોજાનાર શપથ ગ્રહણ વખતે NDA દ્વારા શક્તિનું મોટું પ્રદર્શન હશે, જેમાં PM મોદી, કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ અને રાજનાથ સિંહ, બિહારના CM નીતિશ કુમાર અને આંધ્રપ્રદેશના CM એન ચંદ્રબાબુ નાયડુ સહિત NDA શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે.

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની સાથે મંત્રી પદના શપથ લેનારા ધારાસભ્યો કોણ હશે તે આજે જાણી શકાશે. ધારાસભ્ય દળની બેઠકમાં નાયબ સૈનીને નેતા તરીકે ચૂંટ્યા પછી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક પછી એક તમામ ધારાસભ્યોનો પરિચય કરાવ્યો હતો અને તેમને ભાજપની નીતિઓ અનુસાર સર્વસમાવેશક રીતે કામ કરવા સૂચના આપી હતી.
નાયબ સૈનીને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા બાદ અમિત શાહ કોઈ મહત્વપૂર્ણ કામ માટે દિલ્હી ગયા હતા અને મોડી રાત્રે પરત ફર્યા હતા. વડાપ્રધાન મોદીની સાથે અમિત શાહ ગુરુવારે નાયબ સિંહ સૈનીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. કેબિનેટ નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ દ્વારા જ લેવામાં આવશે. ભાજપ હાઈકમાન્ડે મંત્રીઓ માટે 14 ધારાસભ્યોના નામ શોર્ટલિસ્ટ કર્યા છે. તમામ ધારાસભ્યોના પ્રોફાઈલ પર ચર્ચા કરવામાં આવી છે.

જ્ઞાતિ સમીકરણો અનુસાર 10 ધારાસભ્યોનું મંત્રી બનવું નિશ્ચિત છે. કુલ 12 મંત્રીઓ શપથ લઈ શકે છે. અહિરવાલમાંથી બે મંત્રી બનાવવાનો પ્રસ્તાવ છે, જેમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવ ઈન્દ્રજીતની પસંદ-નાપસંદને ધ્યાનમાં લેવામાં આવશે. આ વખતે કેન્દ્રીય નેતૃત્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી કૃષ્ણપાલ ગુર્જરને ઘણું મહત્વ આપી રહ્યું છે. તેથી, મંત્રીઓની પસંદગીમાં તેમનો અભિપ્રાય પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, જ્યારે કેન્દ્રીય પ્રધાન મનોહર લાલનું દિલ્હી નિવાસસ્થાન સત્તાનું મોટું કેન્દ્ર રહ્યું છે, જ્યાં લગભગ બે ડઝન ધારાસભ્યો તેમના આશીર્વાદ લેવા પહોંચ્યા છે.

અનિલ વિજ પણ મંત્રી બની શકે છે
અત્યાર સુધી જે ધારાસભ્યોના મંત્રી બનવાની ચર્ચા ચાલી રહી છે તેમાં ફરીદાબાદના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વિપુલ ગોયલ, બલ્લભગઢના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પંડિત મૂળચંદ શર્મા, બાદશાહપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રાવ નરબીર અને અંબાલા છાવણીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અનિલ વિજના નામ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો:હરિયાણામાં સૈની સરકારનો શપથ ગ્રહણ ત્રીજી વખત મોકૂફ, ગૃહમંત્રી અમિતશાહ સાથે ચર્ચા બાદ લેવાયો નિર્ણય
આ પણ વાંચો:હરિયાણામાં હાર પર કોંગ્રેસમાં મંથન, રાહુલ ગાંધી ‘નેતાઓએ પાર્ટી કરતાં અંગત લાભોને આપ્યું મહત્વ”
આ પણ વાંચો:હરિયાણાના પરિણામો પર ઓવૈસીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા
