Ahmedabad News : ગુજરાત રાજ્યના નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર વિભાગ સતત પ્રયત્નશીલ રહેતું હોય છે. અને રાજ્યમાં ભેળસેળયુક્ત કે ડુપ્લિકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરુદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરતું હોય છે.ખોરાક અને ઔષધ નિયમન તંત્રની વિભાગે તેને મળેલી ખાનગી બાતમીને આધારે 4 ફેબ્રુઆરીએ કુબેરનગરમાં આદર્શ સ્કૂલ પાસે દ્વારકેશ ડેરી પ્રોડકટ્સમાં રેડ કરી હતી. જ્યાં વિભાગને શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો.
તંત્ર દ્વારા ઝીણવટભરી તપાસ કરતા પેઢી 10723026000784 નંબરથી લાઇસન્સ ધરાવતી હોવાનું સામે આવ્યું. જ્યાં સ્થળ પરથી પનીરની સાથે પામોલીન તેલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિટિક એસિડ મળી આવ્યો હતો. જેથી તંત્ર દ્વારા પેઢીના જવાબદાર જીગ્નેશ બુધાભાઈ બારોટ પાસેથી એક સ્વતંત્ર પુરાવા રૂપે પનીરનો 1, પામોલીન ઓઈલનો 1 અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસીટીક એસીડ ગ્લેસીયલ (૯૯.૮૫%)નો 1 એમ કુલ – 3 (ત્રણ) નમૂના લેવામાં આવ્યા, જ્યારે બાકીનો 1500 કિગ્રા જથ્થો જાહેર જનતા સુધી ન પહોંચે તે માટે સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યો, જપ્ત કરવામાં આવેલા જથ્થાની કિંમત સવા ત્રણ લાખ રૂપિયા જેટલી થાય છે.
આ શખ્સે 12 મહિનાથી ધંધો શરૂ કર્યાની કબૂલાત કરી હતી.આ રેડથી ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. તેમજ પકડાયેલ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દૃષ્ટિએ બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે આ ઘટના પરથી આવા તત્વોએ ચેતી જવું પડશે. જેથી લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય.
આ પણ વાંચો: ઉના: વધુ એક ભારતીય માછીમારનું પાક જેલમાં મોત,પુત્ર પણ 7 વર્ષથી થયો છે ગુમ
આ પણ વાંચો: ઉના : માછીમારનું પાકિસ્તાનની જેલમાં મોત, પુત્રીને મોકલ્યો પત્ર
આ પણ વાંચો: 9 વર્ષ બાદ જેલમાંથી છૂટીને પરત ફરી રહ્યો હતો આ વ્યક્તિ, પરિવાર તેની રાહ જોતો હતો, મોતના સમાચાર પહોંચ્યા…
