ઉના તાલુકાના કાજરડી ગામના માછીમારનું પાકિસ્તાનની લાડી જેલમાં મોત થયું છે. મળતી વિગતો મુજબ, કાજરડીના નાનુભાઈ કાનાભાઇ સોલંકી (47) નું પાકિસ્તાનની લાડી જેલમાં પેટની બીમારીના કારણે 15 સપ્ટેમ્બર 2018ના રોજ મોત થયું હોવાનો પત્ર મૃતકની પુત્રીના ઘરે આવ્યો છે. મૃતકની સાથે જેલમાં રહેતા વિજય અરવિંદ વાજાએ આ જાણ કરી હતી.
જણાવી દઈએ કે, નાનુભાઈ સોલંકી જીજે 25 એમએમ 2522 નંબરની રામબાણ નામની બોટમાં માછીમારી કરવા ગયા હતા. તા. 10 નવેમ્બર 2017ના રોજ એમની સાથે 35થી વધુ માછીમારો પકડાયા હતા.
નાનુભાઈના મોત અંગે ફિશરીઝ ડીપાર્ટમેન્ટ કે બોટ માલિકે પરિવારજનોને જાણ કરી નહતી. મૃતકના ત્રણ પુત્રો પણ માછીમારી જ કરે છે. પિતાના મૃત્યુ અંગે જાણ કરતા તેઓ વતન પરત આવવા નીકળ્યા છે.
મૃતક અંગે વિસ્તારના ધારાસભ્ય પુંજાભાઈ વંશને જાણ કરવામાં આવી છે. તેમણે સરકાર અને ફિશરીઝ વિભાગને રજુઆત પણ કરે છે.