New Delhi : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. મોરેશિયસના વડા પ્રધાન નવીન રામગુલામે આ જાહેરાત કરી છે. રામગુલામે તેને બંને દેશો વચ્ચેના ગાઢ દ્વિપક્ષીય સંબંધોનો પુરાવો ગણાવ્યો. મોરેશિયસના વડા પ્રધાન રામગુલામે શુક્રવારે ‘નેશનલ એસેમ્બલી’ને સંબોધિત કરતા કહ્યું, “આપણા દેશ માટે ખરેખર એક ખાસ સન્માનની વાત છે કે (વડા પ્રધાન મોદીના) આટલા વ્યસ્ત કાર્યક્રમ છતાં, આપણને આવા પ્રતિષ્ઠિત વ્યક્તિત્વનું સ્વાગત કરવાની તક મળશે.”
તમને જણાવી દઈએ કે દર વર્ષે 12 માર્ચે મોરેશિયસ તેનો રાષ્ટ્રીય દિવસ ઉજવે છે. તેને 12 માર્ચ, 1968ના રોજ બ્રિટિશ શાસનથી સ્વતંત્રતા મળી. રામગુલામે કહ્યું, “આપણા દેશની આઝાદીની 57મી વર્ષગાંઠની ઉજવણીના સંદર્ભમાં, મને ગૃહને જણાવતા ખૂબ આનંદ થાય છે કે મારા આમંત્રણ પર, ભારતના વડા પ્રધાન, મહામહિમ નરેન્દ્ર મોદી આપણા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન બનવા માટે સંમત થયા છે.”
ભારત-મોરેશિયસ સંબંધો વધુ મજબૂત બનશે
મોરેશિયસના વડા પ્રધાન રામગુલામે કહ્યું કે PM મોદીની આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. તેમણે ભારતીય નેતાના વ્યસ્ત સમયપત્રક પર પ્રકાશ પાડવા માટે મોદીની તાજેતરની પેરિસ અને અમેરિકાની મુલાકાતોનો પણ ઉલ્લેખ કર્યો. રામગુલામે કહ્યું, “વડાપ્રધાન મોદીની મુલાકાત આપણા બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોનો પુરાવો છે.” રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગયા વર્ષે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી.
આ પણ વાંચો: RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને PM મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
આ પણ વાંચો: ‘મારા મિત્ર પીએમ મોદીને 21 મિલિયન ડોલર…’, ડોનાલ્ડ ટ્રમ્પે USAID ફંડિંગ પર ફરીથી કહ્યું
