New Delhi: કેનેડા (Canada)એ આખરે G-7 સમિટમાં હાજરી આપવા માટે ભારતને આમંત્રણ મોકલ્યું છે. કેનેડાના PM માર્ક કાર્નીએ પીએમ મોદી (PM Narendra Modi)ને ફોન કરીને G-7 સમિટ (G7 Summit)માં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું હતું. આ સાથે, બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. આ પ્રસંગે PM મોદીએ કેનેડાના નવનિર્વાચિત પીએમને ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ પોતે આ માહિતી આપી હતી.
PM મોદીએ શું કહ્યું?
PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વિટ કરીને કેનેડિયન પીએમ (Mark Carney) સાથેની તેમની ફોન વાતચીત વિશે માહિતી આપી. પીએમ મોદીએ લખ્યું કે તેમને કેનેડિયન પીએમ માર્ક કાર્ની સાથે ફોન પર વાત કરીને આનંદ થયો. તેમણે તાજેતરની ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન આપ્યા. પીએમ મોદીએ વધુમાં લખ્યું કે તેમણે આ મહિનાના અંતમાં કનાનાસ્કિસમાં યોજાનારી G7 સમિટમાં આમંત્રણ આપવા બદલ તેમનો આભાર માન્યો.
પ્રધાનમંત્રી મોદીએ લખ્યું કે, લોકોથી લોકો વચ્ચે ઊંડા સંબંધોથી બંધાયેલા જીવંત લોકશાહી દેશો તરીકે, ભારત અને કેનેડા પરસ્પર આદર અને સહિયારા હિતોના માર્ગદર્શન હેઠળ નવા જોશ સાથે સાથે કામ કરશે. અમે શિખર સંમેલનમાં મળવા માટે આતુર છીએ.
અગાઉ એવી અટકળો હતી કે બંને દેશો વચ્ચેના સંબંધોમાં કડવાશને કારણે, કેનેડા આ વખતે G-7 સમિટમાં ભાગ લેવા માટે ભારતને આમંત્રણ નહીં આપે. જો આવું થયું હોત, તો 2019 પછી આ પહેલી વાર બન્યું હોત કે પીએમ મોદી આ સમિટમાં ભાગ ન લીધો હોત. થોડા સમય પહેલા સુધી, કેનેડા તરફથી ભારતને આમંત્રણ આપવા અંગે કોઈ પ્રતિક્રિયા આવી ન હતી.
