Rajkot News : રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરની ખાણીપીણીની દુકાનો અને રેસ્ટોરન્ટ્સ સામે કડક અભિયાન (Rajkot Food Safety Raid) શરૂ કર્યું છે. મેયર ડો. નેહલ શુક્લ (Mayor Dr. Nehal Shukla)ના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી વિભાગે શહેરના બે જાણીતા ફૂડ આઉટલેટ્સમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં વાસી, અખાદ્ય અને અસ્વચ્છ સ્થિતિમાં રાખવામાં આવેલ ખાદ્ય સામગ્રી મળી આવતાં અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
પીઝા પાર્લરમાં ચોંકાવનારી સ્થિતિ
રામકૃષ્ણનગર મેઈન રોડ વિસ્તારમાં આવેલી એક પીઝા રેસ્ટોરન્ટમાં ફૂડ સેફ્ટી ટીમે તપાસ દરમિયાન કિચનની હાલત જોઈ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. કિચનમાં રાખવામાં આવેલા તૈયાર ખોરાક, પાસ્તા, નૂડલ્સ અને ભાતમાંથી દુર્ગંધ આવતી હોવાનું સામે આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ આ સામગ્રી લાંબા સમયથી સંગ્રહિત હોવાથી ખાવા યોગ્ય રહી નહોતી. તપાસ દરમિયાન કેટલાક રેફ્રિજરેટરમાં રાખવામાં આવેલી ડેરી પ્રોડક્ટ્સ નજીક જીવાતો અને વંદા પણ જોવા મળ્યા હતા, જે ગંભીર આરોગ્ય જોખમ ઉભું કરી શકે તેવી સ્થિતિ હતી.

Rajkot Food Safety Raid:90 કિલો જેટલી અખાદ્ય સામગ્રીનો નાશ
ફૂડ સેફ્ટી વિભાગે સ્થળ પરથી અંદાજે 80 થી 90 કિલો જેટલી વાસી અને અખાદ્ય ખાદ્ય સામગ્રી જપ્ત કરી હતી. બાદમાં સમગ્ર જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે.

આરોગ્ય માટે ગંભીર ખતરો
અધિકારીઓના જણાવ્યા મુજબ વાસી અને અસ્વચ્છ ખોરાકના સેવનથી ફૂડ પોઈઝનિંગ, ઝાડા-ઉલ્ટી અને અન્ય ગંભીર આરોગ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો માટે આવા ખોરાકનું સેવન વધુ જોખમી બની શકે છે.
રેસ્ટોરન્ટનો બચાવ
રેસ્ટોરન્ટના સંચાલક પક્ષે દાવો કર્યો છે કે એક દિવસ અગાઉ જ પેસ્ટ કંટ્રોલની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સફાઈનું કામ ચાલુ હોવાથી રેસ્ટોરન્ટ ગ્રાહકો માટે બંધ રાખવામાં આવ્યું હતું. તેમનું કહેવું છે કે સફાઈ પૂર્ણ થયા બાદ જ રેસ્ટોરન્ટ ફરી શરૂ કરવાની યોજના હતી.

બીજી રેસ્ટોરન્ટમાંથી પણ અખાદ્ય સામગ્રી મળી
ફૂડ સેફ્ટી વિભાગે શહેરના અન્ય એક ફૂડ આઉટલેટમાં પણ તપાસ હાથ ધરી હતી. ત્યાંથી અંદાજે 20 કિલો જેટલી વાસી અને અખાદ્ય ખાદ્ય સામગ્રી મળી આવી હતી. જેમાં તૈયાર નૂડલ્સ, પાસ્તા, સોસ, રોલ્સ, મંચુરિયન અને અન્ય ખાદ્ય વસ્તુઓનો સમાવેશ થતો હતો.

નોટિસ અને કાયદેસરની કાર્યવાહી
મહાનગરપાલિકાએ બંને સંસ્થાઓ સામે નોટિસ જારી કરી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ જરૂરી કાર્યવાહી તેમજ દંડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે શહેરભરમાં આવી આકસ્મિક તપાસો સતત ચાલુ રહેશે. નાગરિકોના આરોગ્ય સાથે બેદરકારી દાખવનાર વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.
આ પણ વાંચો:વડોદરામાં પીઝામાં ફંગસનો આક્ષેપ: ગ્રાહકે જાણીતી રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરવાની કરી માંગ
આ પણ વાંચો:ગાર્લિક બ્રેડમાં જીવડું : પીઝા શોપ વિરૂધ્ધ ફરિયાદ
આ પણ વાંચો:કાંકરિયામાં પીઝા ખાતા પહેલા સાવધાન,ભાજીપાઉં એન્ડ નાસ્તા સેન્ટરમાંથી નીકળી જીવાત
