Bharuch News: ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ગુંદિયા ગામની સીમમાં ખેતરમાં લગાવેલા વીજિત તારને અડી જવાથી એક મહિલા અને ગ્રામ રક્ષક દળ (GRD) ના જવાનનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાએ સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાવી છે.
ગુંદિયા ગામના ખેડૂત રામસિંગ વસાવાએ પોતાના શેરડીના ખેતરને જંગલી પ્રાણીઓથી બચાવવા માટે વાયર લગાવી તેમાં વીજ પ્રવાહ છોડ્યો હતો. 3 ઓગસ્ટની મધરાત્રિ 12:30 વાગ્યાની આસપાસથી 4 ઓગસ્ટના સવારે 8 વાગ્યા વચ્ચે ગ્રામજનો સવિતાબેન વસાવા અને પ્રવીણ વસાવા આ વીજિત તારના સંપર્કમાં આવતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં વાલિયા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
મૃતક પ્રવીણ વસાવા વાલિયા પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવતા હતા. તેમના અકાળે અવસાનના સમાચારથી GRD જવાનો અને તેમના સહકર્મચારીઓમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
આ ઘટનાએ ખેતરોમાં જંગલી પ્રાણીઓથી પાક બચાવવા માટે વીજિત તારના ઉપયોગની સલામતી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. વાલિયા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે, જેથી આવી દુઃખદ ઘટનાઓ ભવિષ્યમાં નિવારી શકાય.
