Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને દેશના ઔદ્યોગિક નક્શે આગવું સ્થાન પામેલા ટાટા ગ્રુપના સ્વ. શ્રી રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવવા મુંબઈ પહોંચ્યા હતા. સ્વર્ગસ્થનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે નેશનલ સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ લેન, નરીમાન પોઈન્ટ, મુંબઈ ખાતે રાખવામા આવ્યો છે ત્યાં જઈને મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ગસ્થના અંતિમ દર્શન કર્યા હતા અને ભાવાંજલિ આપી હતી. તેની સાથે તેમણે ગુજરાતમાં આ નિમિત્તે 10 ઓક્ટોબરના એક દિવસના શોકની પણ જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પદ્મવિભૂષણથી સન્માનિત અને ટાટા ગ્રૂપના મોભી શ્રી રતન ટાટાના નિધન અંગે શોક વ્યક્ત કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શ્રી રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું કે, ભારતે સાચા અર્થમાં રતન ગુમાવ્યું છે. તેમના અવસાનથી દેશને ક્યારેય પૂરી ન શકાય તેવી ખોટ પડી છે, તેવું મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રતન ટાટાએ સમગ્ર વિશ્વમાં ઔધોગિક ક્ષેત્રે દેશને ગૌરવ અપાવ્યું છે. આજે તેઓ જ્યારે આપણી વચ્ચે રહ્યા નથી ત્યારે દુઃખની લાગણી અનુભવી તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાત્રે 11 વાગે દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થયું હતું. તેમણે 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. સીએમે જણાવ્યું હતું કે ગુજરાતને ઓટો હબ તરીકેની ઓળખ આપવામાં તેમણે સાણંદમાં સ્થાપેલા નેનો પ્લાન્ટની મહત્ત્વની ભૂમિકા છે.
બીજી તરફ રતન ટાટાના નિધનના સમાચાર મળતા જ સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પીએમ મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ અને હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું, ‘રતન ટાટાજી એક સ્વપ્નદ્રષ્ટા બિઝનેસ લીડર, એક દયાળુ આત્મા અને અસાધારણ માનવી હતા. તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું. વધુમાં, તેમનું યોગદાન બોર્ડરૂમથી ઘણું આગળ હતું. તેમની નમ્રતા, દયા અને આપણા સમાજને સુધારવાની અતૂટ પ્રતિબદ્ધતાના કારણે તેઓ ઘણા લોકો માટે પ્રિય હતા.
આ પણ વાંચો: ઉદ્યોગપતિ રતન ટાટાનું રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં એક દિવસનો શોક
આ પણ વાંચો: ભારત પર પોતાની અમિટ છાપ છોડી; સુરતમાં જન્મ, જાણો ઉદ્યોગપતિ બનવા સુધીની જીવનયાત્રા
આ પણ વાંચો: દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, PM મોદી સહિત દિગ્ગજ સહિત આ લોકોએ શોક વ્યક્ત કર્યો
