સગીરા શિષ્યા પર જાતીય સતામણીના કેસમાં આજીવન કારાવાસ ભોગવી રહેલા આસારામ કોરોના સંક્રમિત થયા છે. જોધપુર જેલમાં લેવાયેલ તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મોડી રાતના તાવ અને ઓક્સિજનનું પ્રમાણ ઘટ્યા બાદ તેમને સારવાર માટે મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલમાં લાવ્યા પહેલા ત્યાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આસારામને હોસ્પિટલમાં લાવવામાં આવતા જ કેટલાક સમર્થકો ત્યાં પહોંચી ગયા હતા. પરંતુ પોલીસે કોઈને અંદર પ્રવેશવા દીધો નહીં. હોસ્પિટલમાં લાવતા આસારામ વ્હીલચેર પર થાકેલા દેખાતા હતા. તેનું વજન પણ ઘણું ઓછું હતું.
શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલના ICU વિભાગમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા.

સાવચેતી તરીકે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો
જોધપુર જેલમાં કેટલાક કેદીઓને કોરોના ચેપ લાગ્યાં બાદ સાવચેતીના રૂપમાં પણ આસારામનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, સાંજે મળેલા એક રિપોર્ટમાં આસારામમાં પણ કોરોના સંક્રમણ થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી જેલમાં જ આસારામની સારવાર કરવામાં આવી હતી. રાત્રે ભારે તાવ અને ઓક્સિજનનું સ્તર ઘટયા બાદ આસારામને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લાવવાનું નક્કી કરાયું હતું.

આ કારણે આસારામ જેલમાં છે
આસારામ પર ગુરુકુળમાં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થીએ 15 ઓગસ્ટ 2013 ના રોજ આરોપ લગાવ્યો હતો કે જોધપુર નજીક મનાઇ ગામમાં એક ફાર્મ હાઉસમાં આસારામએ તેની સાથે યૌન શોષણ કર્યું હતું. 20 ઓગસ્ટ 2013 ના રોજ તેણે આસારામ વિરુદ્ધ દિલ્હીના કમલા નગર પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો હતો. જોધપુરના કેસને કારણે દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધીને તપાસ માટે જોધપુર મોકલી દીધી છે. જોધપુર પોલીસે આસારામ સામે સગીર પર જાતીય શોષણ કરવા બદલ ગુનો નોંધ્યો હતો.

જોધપુર પોલીસે આસારામને 31 ઓગસ્ટ 2013 ના રોજ ઇન્દોરથી ધરપકડ કરીને જોધપુર લાવ્યો હતો. ત્યારથી આસારામ જોધપુર જેલમાં બંધ છે. આ સમયગાળા દરમિયાન, સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ સહિત જિલ્લા અદાલતમાં જામીન મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. બાદમાં કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી.

