અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં મકરસંક્રાંતિના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વ પર વહેલી સવારથી જ લોકો ઘરોના ધાબા પર ચડ્યા છે અને સમગ્ર વાતાવરણ “કાઈ પો છે” અને લપેટના અવાજથી ગુજી ઉઠ્યું છે. આ પર્વને લઇ પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગ ચગાવીને ઉત્તરાયણની મજા માની રહ્યા છે તો બીજી તરફ પતંગ રસિયાઓની આ મજા મુંગા પક્ષીઓ માટે મોતની સજા સાબિત થઈ રહી છે. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં આશરે ૯૦થી વધારે પક્ષીઓ કાતિલ માંજાથી ઘાયલ થયા છે જ્યારે અનેક પક્ષીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં પાલડી, મણિનગર, જુહાપુરા જેવા વિસ્તારોમાં ઘાયલ પક્ષીઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે. પક્ષીઓ બચાવવાના ૧૦થી વધારે કોલ ફાયર બ્રિગેડને આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરમાં ઘાયલ પક્ષીઓની સંખ્યાની વાત કરીએ તો તે ૯૦ કરતા વધારે છે. આ પક્ષીઓમાં કબૂતર, સમડી, બાઝ, ક્રેન અને ઢેલ જેવા પક્ષીઓ ઘાયલ થયા છે. બીજી બાજુ જીવદાય પ્રેમીઓએ ઘાયલ પક્ષીઓની સારવાર કરી હતી.
