અમદાવાદ,
નારોલ વિસ્તારમાં આવેલી એક સોસાયટીના મકાનમાં બે ટ્રક ભરીને મોરના પીંછા મળી આવતા ચકચાર મચી ગઇ છે. મોર દેશનું રાષ્ટ્રીય પક્ષી છે તેનો શિકાર કરવો તે પણ ગુનો બને છે ત્યારે બે ટ્રક ભરીને મોરના પીંછા મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એમ.પટેલ અને તેમની ટીમને બાતમી મળી હતી કે નારોલ વિસ્તારમાં આવેલા મોતીપુરા પ્રભાત નગર સોસાયટીના એક મકાનમાં મોરના પીંછા રાખવામાં આવ્યા છે.
બાતમીના આધારે ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની ટીમે દરોડા પડ્યા હતા.જેમાં એક મકાનમાંથી મોરના પીંછા મળી આવ્યા હતા. બે રૂમમાં એટલા બધા મોરના પીંછા હતા કે તેને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ઓફિસમાં લાવવા માટે બે ટ્રકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઇતિહાસમાં પ્રથમ વખત આટલાં મોટા પ્રમાણમાં મોરના પીંછા મળી આવતા તંત્ર પણ ચોકી ઉઠ્યું હતું.એક અંદાજ પ્રમાણે હજારોની સંખ્યામાં મોરના મોત થયા હોઈ શકે છે. ઉલ્લેખનીય છેકે કચ્છના રાપર ખાતે 80 મોરની હત્યા થતા ભારે હંગામો મચ્યો હતો.
