Gujarat News: ગુજરાતના નાગરિકો માટે સરકારે મોટી જાહેરાત કરી. રાજ્યમાં હવે વિજળી સસ્તી થશે. ‘સુશાસન દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ મોટી જાહેરાત કરતા વિજળીમાં ફ્યુઅલ ચાર્જમાં ધરખમ ઘટાડો કર્યો. આ જાહેરાત મુજબ યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જમાં 40 પૈસાનો ઘટાડો થતા ગ્રાહકોના વીજ બિલ સસ્તા થશે. ગ્રાહકોને 1120 કરોડનો સીધો ફાયદો થશે તેમ ઉર્જા મંત્રીએ જણાવ્યું.
ઊર્જા મંત્રી શ્રી દેસાઈએ કહ્યું હતું કે,ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે ૧.૭૫ કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ.૧,૧૨૦ કરોડનો લાભ થશે. વધુમાં તેમણે જણાવ્યું કે ઓકટોબર ૨૦૨૪થી ડિસેમ્બર ૨૦૨૪માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે તેમ,આજે ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું.
વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરાયેલ ફ્યુઅલ સરચાર્જની ફોર્મ્યુલા મુજબ એપ્રિલ-૨૦૨૪થી સપ્ટેમ્બર ૨૦૨૪ના સંબંધિત ત્રિમાસિક સમયગાળા દરમિયાન વીજ બળતણના ભાવોમાં થયેલ ફેરફાર મુજબ રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. ૨.૮૫ પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવતી હતી.
વધુમાં તેમણે કહ્યું કે, ઓકટોબર -૨૦૨૪ થી ડિસેમ્બર ૨૦૨૪ના પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિ યાન પણ રૂ. ૨.૮૫ પ્રતિ યુનિટ ના દરે ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવે છે. રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન અસરકારક રીતે ફયુલ સરચાર્જનો દર જાળવી રાખવામાં આવ્યો છે. વધુમાં,ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન અને સ્થિર વીજ ખરીદના દરને ધ્યાને લઇ, રાજ્ય સરકાર દ્વારા ગ્રાહકોના વિશાળ હિતમાં ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ ૪૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે મુજબ તા. ૦૧.૧૦.૨૦૨૪થી પ્રવર્તમાન ત્રિમાસિક સમય ગાળા દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર ગ્રાહકોને પ્રતિ યુનિટ ૪૦ પૈસાનો લાભ થશે.
તેમણે ઉમેર્યું કે,ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪ના ગાળામાં આ ફ્યુઅલ સરચાર્જનો દર રૂ. ૨.૮૫થી ઘટાડીને રૂ. ૨.૪૫ પ્રતિ યુનિટના દરની વસૂલાત કરવામાં આવશે.આ ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે ૧.૭૫ કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડીસેમ્બર ૨૦૨૪ દરમ્યાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ ૧૧૨૦ કરોડનો લાભ થશે. વધુમાં,જે રહેણાંકીય ગ્રાહકો દ્વારા માસિક ૧૦૦ યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે છે, તેવા કિસ્સામાં ઉપરોક્ત ફ્યુઅલ સરચાર્જના ઘટાડાને પરિણામે અંદાજે રૂ ૫૦ થી ૬૦/-ની માસિક બચત થશે તેમ, મંત્રીએ વધુ વિગતો આપતાં ઉમેર્યું હતું.
