અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર આજે 20મી ઓક્ટોબરને બુધવારે વિશેષ અદાલત ચુકાદો આપશે. ક્રૂઝ ડ્રગ કેસમાં આર્યન ખાન ન્યાયિક કસ્ટડીમાં છે અને તે આર્થર રોડ જેલમાં બંધ છે. ગત 14 ઓક્ટોબરે સુનાવણી બાદ જસ્ટિસ વીવી પાટીલે જામીન અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. આ જામીન અરજીની સુનાવણી 20 ઓક્ટોબરે નિર્ધારીત કરી હતી.
NCBના દરોડામાં આર્યન ખાન ઉપરાંત અન્ય સાત આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં વિદેશી નાગરિકો સહિત કુલ 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભૂતકાળમાં કોર્ટમાં સુનાવણી દરમિયાન, આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ દલીલ કરી હતી કે, તેના ક્લાયન્ટ પાસેથી ડ્રગ રિકવર કરવામાં આવી નથી અથવા તે ડ્રગ્સ વેચવા અને ખરીદવામાં સંકળાયેલ નથી, તેથી તેને જામીન મળવા જોઈએ. જ્યારે NCB રજૂઆત કરી હતી કે, ડ્રગ નેક્સસમાં આર્યનની સંડોવણી વોટ્સએપ ચેટ જોઈને સામે આવી છે
આર્યન ખાનને એનસીબીના અધિકારીઓએ ‘કાઉન્સેલિંગ’ કર્યું હતું. આ ‘કાઉન્સેલિંગ’ દરમિયાન આર્યને કહ્યું કે તે ગરીબોના કલ્યાણ માટે કામ કરશે અને ભવિષ્યમાં આવું કોઈ કામ કરશે નહીં, જેનાથી તેનું નામ બગડે. એનસીબીના પ્રાદેશિક નિર્દેશક સમીર વાનખેડે અને સામાજિક કાર્યકરો દ્વારા કાઉન્સેલિંગ દરમિયાન આર્યને જણાવ્યું હતું કે, તેની મુક્તિ મળ્યા બાદ તે ગરીબો અને દલિતોના આર્થિક ઉત્થાન માટે કામ કરશે અને ક્યારેય આવું કામ કરશે નહીં.