અયોધ્યા : દેશ માટે આજનો (22 જાન્યુઆરી) દિવસ ઐતિહાસિક બન્યો છે. આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની અયોધ્યામાં ભવ્ય ઉજવણી થઈ રહી છે. આજના સમારોહમાં દેશના ખૂણે-ખૂણેથી રામભક્તો પધાર્યા છે. રામ મંદિરનું સંચાલન કરનાર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આ ખાસ પ્રસંગે અનેક મહેમાનોને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. પીએમ મોદી અને સીએમ યોગી દ્વારા ભક્તોને 22 જાન્યુઆરી બાદ રામ મંદિરની મુલાકાત લેવા અપીલ કરી છે. જો કે ભક્તોમાં મૂંઝવણ છે કે તેઓ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ કેવી રીતે રામ મંદિરની મુલાકાત કરી શકે છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, 22 જાન્યુઆરીએ સામાન્ય ભક્તો માટે દર્શન માટે કોઈ વ્યવસ્થા નથી. રામ મંદિર અભિષેક બાદ સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવશે. સામાન્ય માણસ 22મી જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા પછી 23મી જાન્યુઆરીથી રામલલાના દર્શન કરી શકશે.

દર્શનનો સમય
23મી જાન્યુઆરીથી ભક્તોના દર્શન માટે સવારે 7:00 થી 11:30 સુધી અને તે પછી બપોરે 2:00 થી સાંજના 7:00 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. બપોરે લગભગ અઢી કલાક સુધી મંદિર સુરક્ષા અને આરામ માટે બંધ રહેશે.
આરતીનો સમય
શ્રદ્ધાળુઓ આરતીનો લાભ લેવા આ સમય જરૂર ધ્યાનમાં રાખે. રામલલાની આરતી દિવસમાં ત્રણ વખત કરવામાં આવશે. સવારે, બપોરે અને સાંજે. પ્રથમ આરતી સવારે 6:30 વાગ્યે થશે. સવારે કરાતી આરતીને જાગરણ અથવા શ્રૃંગાર આરતી કહેવાય છે. બાદમાં મધ્યાહનમાં બપોરે 12:00 કલાકે ભોગ આરતી કરવામાં આવશે. અને ત્રીજી આરતી સાંજે 7:30 કલાકે સંધ્યા આરતી કરવામાં આવે છે.

મંદિરમાં એન્ટ્રી ફ્રી હશે?
અયોધ્યાના રામ મંદિરમાં ભક્તોએ દર્શન માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવશે નહી. મંદિરમાં રામ લલાના મફત દર્શન કરી શકાશે. જો કે જે શ્રદ્ધાળુઓ આરતીના દર્શન કરવા માંગતા હોય તેમણે ફરજીયાત પાસ લેવાનો રહેશે. આરતી સમયે પાસ ધરાવતા લોકોને જ આરતીમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. ભક્તો શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પાસેથી પાસ લઈ શકશે. પાસ માટે માન્ય ઓળખ કાર્ડ (આઈડી પ્રૂફ) હોવું જરૂરી છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર એક સમયે માત્ર 30 લોકો જ આરતીમાં ભાગ લઈ શકશે.

મંદિર કેવી રીતે પંહોચવું
તમે રેલ, બસ કે હવાઈ માર્ગે અયોધ્યા જઈ શકો છો. અયોધ્યા રેલવે સ્ટેશનથી મંદિરનું અંતર માત્ર 5 કિલોમીટર છે. ત્યાંથી ઓટો રિક્ષા અથવા ઈ-રિક્ષા વગેરે દ્વારા મંદિર પહોંચી શકાય છે. અયોધ્યાના મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટથી મંદિરનું અંતર લગભગ 17 કિમી છે. લખનૌ એરપોર્ટથી રોડ માર્ગે પણ અયોધ્યા જઈ શકાય છે. અંતર લગભગ 160 કિમી છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ
રામ મંદિરનું સંચાલન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામ મંદિર નિર્માણ અને સંચાલન માટે કેન્દ્ર સરકાર દ્વારા આ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. ટ્રસ્ટ મંદિરના નિર્માણ પર પણ નજર રાખી રહ્યું છે. દેશની પ્રખ્યાત કન્સ્ટ્રક્શન કંપની લોર્સમ એન્ડ ટુબ્રો મંદિરના નિર્માણમાં રોકાયેલ છે. અંદાજ મુજબ 1800 કરોડના ખર્ચે બનેલ રામ મંદિર નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. રામ મંદિરનું નિર્માણ કાર્ય આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. અયોધ્યાના નવા રામ મંદિરમાં ચાર ખૂણામાં વધુ ચાર દેવતાઓના મંદિરો છે. જેમાં ભગવાન શિવ, ભગવાન સૂર્ય, માતા ભગવતી અને ભગવાન ગણેશ. આ સિવાય અહીં અન્નપૂર્ણા માતા અને હનુમાનજીનું મંદિર પણ છે.
આ પણ વાંચો:પત્ર/રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા રાષ્ટ્રપતિએ લખ્યો PM મોદીને પત્ર,જાણો શું લખ્યું…
આ પણ વાંચો:ન્યાય યાત્રા/કોંગ્રેસની ન્યાય યાત્રામાં ફરી હંગામો, ‘રાહુલ ગાંધી ગો બેક’ના નારા લાગ્યા!
