ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં અષ્ટમીએ 35 હજાર જેટલા લોકોએ સાથે મળીને મહાઆરતી કરી હતી. અહીં અષ્ટમીએ મહાઆરતીમાં શિવ અને શક્તિના સમન્વયના સુંદર સ્વરૂપ અર્ધનારીશ્વરનાં અલૌકિક દર્શન થયાં હતાં. શિવ અને શક્તિના સમન્વયનું સુંદર સ્વરૂપ એટલે અર્ધનારીશ્વર. અદભુત અને અલૌકિક દર્શનનો સુંદર નજારો ગાંધીનગરના કલ્ચરલ ફોરમના ગ્રાઉન્ડમાં સર્જાયો હતો.
35,000 લોકોએ સાથે મળીને મહાઆરતી કરી સૌને મહાઆરતી પછી મહાપ્રસાદની વ્યવસ્થા
પરમ પૂજ્ય ગુરુમા સમાનંદ સરસ્વતીજી, ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા, વરિષ્ઠ અધિકારીઓ મમતા વર્મા, સંજીવકુમાર, રેમ્યા મોહનની ઉપસ્થિતિમાં મહાઆરતીનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શિવ અને શક્તિના સમન્વયનું સુંદર સ્વરૂપ એટલે અર્ધનારીશ્વર. ઈશ્વરનું આ સ્વરૂપ સમગ્ર વિશ્વને સાયુજ્યની શીખ આપે છે. સૃષ્ટિનું કોઈ પણ વ્યક્તિત્વ કે અસ્તિત્વ સ્વતંત્ર નથી. એકમેક સાથે તાણાવાણાથી ગુથાયેલું આ સચરાચર જગત સૃષ્ટિટર્તાનું સુંદર સર્જન છે. હું, તમે, આપણે સૌ આ સુંદર સૃષ્ટિનો એક ભાગ હોવાનો આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ.

પરમ તત્વને કાર્યરત થવા પ્રકૃતિરૂપી શક્તિની અપેક્ષા રહે છે. પરમાત્મા અને પ્રકૃતિ, શિવ અને શક્તિનું જોડાવું તે આશ્ચર્યાનંદસભર અનુભૂતિ છે. બે તત્વોનો જ્યાં મેળાપ થાય, ઐક્ય સર્જાય તે સંધિને અતિ પવિત્ર માનવામાં આવે છે. જેમ દિવસ અને રાત. જેમ નદી અને સમુદ્રનો મેળાપ. તેના દર્શન માત્રથી પુણ્યની ઉત્પત્તિ થાય છે. આજે એવી જ પુણ્યશાળી ક્ષણો આપણને પ્રાપ્ત થઈ છે.
આ અર્ધનારીશ્વર સ્વરૂપને આપણા અનંત કોટિ પ્રણામ સહ પ્રાથીએ કે આપણા સૌના જીવનમાં સાયુજ્ય, એક્ય, સમાવેશિતા, સકારાત્મકતા અને સ્નેહસભરતા સ્થપાય.
