Kheda News : ખેડા જિલ્લા ભાજપ (BJP) કાર્યાલયને લઈને પક્ષના નેતાઓ વચ્ચે ભારે વિવાદ સર્જાયો છે. કાર્યાલય પર કબજો જમાવવાના આક્ષેપો સાથે મામલો ગરમાયો છે અને કાર્યાલયનું વીજ જોડાણ કાપી નાખવામાં આવતા વિવાદ વધુ વકર્યો છે.
મળતી માહિતી મુજબ, આ કાર્યાલય કેસરીસિંહ સોલંકીએ ભાડા પટ્ટે લીધું હતું. 4000 રૂપિયાના માસિક ભાડા અને 15 વર્ષના ભાડા પટ્ટા સાથે આ કરાર તેમના ભાઈ મહેશ સોલંકીના નામે કરવામાં આવ્યો હતો. જો કે, માતરના પૂર્વ સંયોજક ચંદ્રેશ પટેલ દ્વારા કાર્યાલય પર કબજો કરવામાં આવ્યો હોવાના આરોપ લાગી રહ્યા છે.
ચંદ્રેશ પટેલે ડિસેમ્બર 2024માં નવો કરાર કરીને મકાન પર કબજો કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આક્ષેપ એ પણ છે કે ભાજપ (BJP) કાર્યાલયનો અગાઉનો કરાર હજુ ચાલુ હોવા છતાં બીજો કરાર કરવામાં આવ્યો છે. મૃતક કાંતિભાઈના વારસદાર સાથે કરાર કરીને ભાજપ (BJP) કાર્યાલય પર કબજો મેળવવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
આ ઘટનાને પગલે માતરના પૂર્વ ધારાસભ્ય દ્વારા ફરિયાદ નોંધાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પક્ષના જ નેતાઓ વચ્ચે આ રીતે ખુલ્લેઆમ વિવાદ સામે આવતા જિલ્લા ભાજપ(BJP)માં ખળભળાટ મચી ગયો છે. આગામી દિવસોમાં આ મામલો શું સ્વરૂપ લેશે તે જોવાનું રહેશે.
અગાઉ ખેડા માતરના ભાજપ(BJP)ના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અને ધારાસભ્ય કલ્પેશ પરમાર વચ્ચે વિવાદ સર્જાયો હતો. તેવામાં અમૂલ સંલગ્ન દૂધ મંડળીઓ દ્વારા માતરના ભાજપના પૂર્વ ધારાસભ્યના સમર્થનમાં અંદાજે ૩૦૦થી વધુ ઠરાવો કરતા ભાજપ (BJP) સંગઠન દોડતું થયું હતું. નડિયાદ કમલમ ખાતે ખેડા જિલ્લા ભાજપ(BJP) પ્રભારીની ધારાસભ્યો, દૂધ ઉત્પાદક સહકારી સંઘના હોદ્દેદારો સહિતના સાથે બંધ બારણે બેઠક મળી હતી.
માતરના ભાજપ(BJP)ના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે વીડિયો વાયરલ કરી અમૂલ ડેરીમાં પશુપાલકોના સંતાનોને લાયકાત મુજબ નોકરીમાં પ્રાથમિકતા આપવી, બાર બ્લોકને બદલે જનરલ ઇલેકશન થાય, ત્રણ પ્રતિનિધીને છૂટા કરી બારનું બોર્ડ પ્રતિનિત્વ કરે સહિતની માંગ કરી હતી.અમૂલમાં પશુપાલકોના પ્રશ્ન મામલે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ધારાસભ્ય કલ્પેશ પરમાર સામસામે આવી ગયા હતા. તેવામાં વિવિધ દૂધ મંડળીઓ દ્વારા પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહના સમર્થનમાં અંદાજે ૩૦૦થી વધુ ઠરાવો કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. ખેડા જિલ્લા ભાજપ પ્રભારી ગોરધન ઝડફિયાની નડિયાદ ભાજપ(BJP) કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં આણંદ અને ખેડા જિલ્લાના પ્રમુખ, ધારાસભ્યો અને ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ,આણંદના હોદ્દેદારો સાથે ચર્ચા કરી હતી.આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ હાજર રહ્યા ન હતા.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતાએ આત્મહત્યા કરી, સરકારી બંગલામાં ગોળી મારી