નાણામંત્રાલયે મુદ્રા યોજના અંતર્ગતના નાના ઉદ્યોગ સાહસીકોને લોનની ફાળવણી માટે અમુલ, ફ્લીપકાર્ટ અને પતંજલી સહીત ૪૦ કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. આ તમામ કંપનીઓ મોટાપાયે લોકોને રોજગારી પુરી પાડે છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત કોને લોન આપી શકાય તે માટેના લાયક લોકોની ઓળખ માટે નાણામંત્રાલયે આગામી ૨૩ જુનના રોજ મુંબઈમાં એક કાર્યક્રમનુ આયોજન કરવા જઈ રહ્યુ છે.
જેથી વધુમાં વધુ લોકોને મુદ્રા યોજના અંતર્ગત લોન ફાળવી શકાય. નાણા સચિવ રાજીવ કુમારે આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે મોટા પાયે લોકોને રોજગારી આપતી ૪૦ કંપનીઓની યાદી તૈયાર કરવાં આવી છે. આ કંપીનીઓ સાથે નાણામંત્રાલય ખાસ કરાર કરી રહી છે.
આ કંપનીઓ એવા લોકોની ઓળખ કરશે જેને મુદ્રા યોજના અંતર્ગત લોનની જરૂર હોય છે. આ કંપીનીઓ જે લોકોના નામ સુચવશે તેમને મુદ્રા યોજના અંતર્ગત લોન આપવામાં આવશે. રાજીવ કુમારે વધુમાં જણાવ્યુ હતુ કે જે લોકોને મુદ્રા યોજના અંતર્ગત લોનની જરૂર છે તેઓ બેન્કોનો સંપર્ક કરી શકે છે. તે પ્રક્રિયામાં સહેજ પણ પરિવર્તન કરવામાં આવ્યુ નથી. આ નવી પહેલનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે નાણા વિભાગની સેવાઓને એવા લોકો સુધી સરળતાથી પહોચાડી શકાય જેમને ખરેખર લોનની જરૂર છે.
આ યોજનામાં મેક માયટ્રીપ, જામાટો, મેરુ કેબ, મુથુ, એડલવાઈસ, એમજાન, ઓલ, બિગ બાસ્કેટ, કાર્જ અને રેન્ટ તેમજ હબીબ સલુન જેવી કંપનીઓને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ કંપનીઓની મદદથી ખરેખર લોનની જરૂરીયાત ધરાવતા લોકોને ઓળખી શકાશે.