નવી દિલ્હી,
છેલ્લા કેટલાક સમયથી રૂપિયાના સ્તરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે ભારતીય રૂપિયો ઘટીને છેલ્લા ૧૯ મહિનાના તળિયે પહોચ્યો છે અને ૬૯ રૂપિયાને પાર પહોચ્યો છે. જો કે આ રૂપિયાના સતત ઘટાડા બાદ પણ નિકાસકારો ખુશ દેખાઈ રહ્યા છે.
અમેરિકા, ચીન અને યુરોપિયન યુનિયન વચ્ચે ટ્રેડ વોર વધુ ઝડપી થતા ભારત સહિત માર્કેટની કરન્સીમાં ઘટાડો થઈ રહ્યો છે. ગત શુક્રવારે રુપિયો થોડો રીકવરી સાથે ૬૮.૪૭ના લેવલ પર બંધ થયો હતો, પરંતુ જાણકારોનુ કહેવુ છે કે, આવનારા સમયમાં આની નબળાઈ યથાવત રહી શકે છે.
તેઓનુ કહેવુ છે કે, “આગળ જઈને ડોલરની સરખામણીએ ૭૦ના લેવલ સુધી પહોંચી શકે છે. આ અંગે એક્સિસ બેંકના ચીફ ઈકોનોમિસ્ટ સૌગત ભટ્ટાચાર્યે જણાવ્યુ કે, રુપિયામાં નબળાઈથી ભારતના એક્સપોર્ટ સેક્ટરને ફાયદો થઈ શકે છે. તેમણે જણાવ્યુ કે, હાલમાં કરન્સીમાં જે ઉતાર-ચઢાવ જાવા મળ્યો છે તેનુ કારણ દેશના મૈક્રો ફન્ડામેન્ટલ નથી”.
તેમણે જણાવ્યુ કે, “ભલે ચાલુ વર્ષે રુપિયાનુ પ્રદર્શન અન્ય એશિયન દેશોની કરન્સીથી ખરાબ રહ્યુ હોય, પરંતુ આનાથી મેક ઈન ઇન્ડિયાને મજબુતી મળી શકે છે અને અહીંથી નિકાસમાં વધારો થઈ શકે છે. ૨૦૧૩માં જ્યારે રુપિયામાં ભારે ઘટાડો આવ્યો હતો, ત્યારે દેશનુ ફિસ્કલ ડેફિસિટ ૪.૮૦ ટકા પર પહોંચી ગયુ હતું. આજે તે ૩.૫૦ ટકા પર છે.
બીજી બાજુ દેશની પાસે આજે ૧૧ મહિનાની આયાત માટે વિદેશી મુદ્રા ભંડાર છે, જ્યારે પાંચ વર્ષ પહેલા આપણી પાસે માત્ર ૬ મહિના સુધી ઈમ્પોર્ટ માટે વિદેશી કરન્સી વધી હતી.