દરેક પ્રશ્નોને રાજકીય ચશ્માથી નિહાળવાની સજા પ્રજા ભોગવે છે
કેન્દ્રમાં અટલની, મનમોહનસિંહ અને મોદી સરકાર તેમજ છત્તીશગઢમાં કોંગ્રેસની બે અને ભાજપની ૩ સરકારો આવી ગઈ છતાં નકસલવાદી તાંડવ યથાવત જ છે
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર.
છત્તીશગઢમાં બીજાપુર જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર ત્રાટકેલા ૨૨થી વધુ જવાનોની શહીદી બાદ તંત્ર એકાએક જાગ્યું છે. ચોમેર નાકાબંધી કરી છે. ગૃહમંત્રી અમીત શાહ એકાએક છત્તીસગઢ દોડી આવ્યા અને શહીદોને શ્રધ્ધાંજલિ આપી અને હવે પછી નિર્ણાયક લડાઈ લડવાની પણ જાહેરાત કરી. આમ તો આપણા રાજકારણીઓ ભલે પછી ગમે તે પક્ષના હોય પરંતુ જ્યારે બનાવ બને ત્યારે જ જાગતા હોય છે. થોડા દિવસ જાગતા રહે એ મોટાભાગના કેસમાં તેમના પગલાં તબેલાને તાળા મારવા જેવા પૂરવાર થતાં હોય છે. આ પણ એક વાસ્તવિકતા છે. છત્તીસગઢ પહેલા મધ્યપ્રદેશની સાથે હતું હવે અલગ રાજ્ય છે. તાજેતરમાં નકસલવાદી હુમલાના જે બે બનાવો બન્યા ત્યારબાદ ત્યાંના ભાજપના નેતાએ ભુપેશ બધેલ નકસલવાદીઓ સામે ઢીલી નીતિ અપનાવી રહ્યાં હોવાનો આક્ષેપ પણ કરી નાખ્યો. હવે આપણા રાજકારણીઓને પોતાની ભૂલ સ્વીકારવી નથી અને પોતાની ભૂલ થાય ત્યારે સામા પક્ષ પર દોષનો ટોપલો ઢોળવાની આદર પડી ગઈ છે – ટેવ પડી છે. કારણ કે દરેક સમસ્યાને પોતાના રાજકીય ચશ્માથી નિહાળવાની રાજકારણીઓની આદત છે.
૧લી નવેમ્બર ૨૦૦૦ના રોજ છત્તીશગઢની રચના થઈ ત્યારબાદ કોંગ્રેસની બે અને ભાજપની ત્રણ સરકારો આવી ગઈ. કેન્દ્રમાં પણ છત્તીશગઢની રચના થઈ ત્યારે અટલબિહારી વાજપેયીની આગેવાની હેઠળની ભાજપ-એન.ડી.એ.ની. સરકાર અસ્તિત્વમાં હતી તો છત્તીસગઢમાં પ્રથમ સરકાર કોંગ્રેસની આગેવાની હેઠળ અજીત જાેગીના મુખ્યમંત્રી પદ હેઠળ રચાઈ હતી. ત્યારબાદ ૨૦૦૪માં કેન્દ્રમાં સત્તા પલ્ટો થયો અને ડૉ. મનમોહનસિંહની આગેવાની હેઠળ કોંગ્રેસ યુ.પી.એ.ની સરકાર સત્તા પર આવી જે દસ વર્ષ સુધી ચાલુ રહી. તો તે સમયગાળામાં છત્તીસગઢમાં પણ ડૉ. રમણસિંહની આગેવાની હેઠળ ભાજપની સરકાર રચાઈ અને તે હેટ્રીક સાથે સતત ૧૫ વર્ષ સુધી ચાલી. ૨૦૧૪માં કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ ભાજપ એન.ડી.એ.ની. ભારે બહુમતીવાળી સરકાર રચાઈ તે વખતે પણ છત્તીસગઢમાં ભાજપની સરકાર હતી. પરંતુ ૨૦૧૮માં જે ચૂંટણી યોજાઈ તેમાં છત્તીસગઢમાં સત્તા પરિવર્તન થયું અને ત્રણ વર્ષથી ભુપેશ બધેલની આગેવાની હેઠળની કોંગ્રેસની સરકાર સત્તા પર છે.
છેલ્લા એક દાયકાની વાત કરીએ તો ૬ એપ્રિલ ૨૦૧૦ના રોજ એટલે કે બરાબર ૧૧ વર્ષ પહેલા છત્તીસગઢના દાતેવાડા વિસ્તારમાં આ બળવાખોરો કે નકસલવાદીએ સાથે થયેલી અથડામણમાં આપણા સુરક્ષા દળોના ૭૬ જવાન શહીદ થયા હતા. છત્તીસગઢ કે મધ્યપ્રદેશ કે નકસલવાદીઓના ઉપદ્રવવાળા રાજ્યોને લાગે વળગે છે ત્યાં સુધી આ સૌથી વધુ સુરક્ષાકર્મી જવાનો શહીદ થવાનો બનાવ હતો. આ બનાવ છત્તીસગઢમાં ભાજપનું શાસન હતું અને અત્યારે કોંગ્રેસ સરકારની ટીકા કરી રહેલા રમણસિંહ મુખ્યમંત્રી પદે હતા. ડો. મનમોહનસિંહે તે વખતે કહેલું કે આ સમસ્યા દેશની આંતરિક સુરક્ષા સામેનો સૌથી મોટો પડકાર છે.
ભારતમાં રાજકીય પરિવર્તન કેન્દ્ર કે રાજ્યોમાં ગમે તે આવે છે પરંતુ મૂળ સમસ્યાઓ ઉકેલવાને બદલે રાજકારણીઓ પ્રશ્નો ઉકેલવા કરતાં એકબીજા પર પ્રહારો કરવામાં વ્યસ્ત રહે છે. આ અંગે નિષ્ણાતો કહે છે કે શાસકો (ભલે ગમે તે હોય) પરંતુ તેનામાં ઈચ્છાશક્તિનો અભાવ અને ઘણા કહે છે તે પ્રમાણે એક યા બીજા નકસલવાદી જૂથ સાથે રાજકારણીઓ (ભલે તે ગમે તે પક્ષના હોય) તેના સ્થાનિક તત્વો દ્વારા અપનાવાતી નીતિ અને સ્પષ્ટ શબ્દોમાં કહી શકાય તેવી સાંઠગાંઠ પણ આના માટે જવાબદાર છે તેવું ઘણા નિરીક્ષકો માને છે.
ભૂતકાળમાં નકસલવાદીઓએ કેટલાક ઉદ્યોગગૃહોના મોભીઓના અપહરણ કરી ખંડણી પણ માગી છે અને કેટલાક કોર્પોરેટ ગૃહોએ આ ખંડણી ચૂકવી પણ છે. એક નિરીક્ષક કહે છે તે પ્રમાણે ખંડણી કે નાણા ચૂકવીને શાંતિ ખરીદવા જેવી વાત છે. આનાથી ક્યારેય કાયમી શાંતિ સ્થાપાવાની નથી. નકસલી હિંસાને ડામવાને બદલે તેને ચાલુ રહેવા દેવામાં આવે છે. આમેય પ્રશ્ન કોઈપણ હોય તેનો એક ઘા એ બે કટકાની જેમ ઉકેલ લાવવાને બદલે સમગ્ર સમસ્યાને ટલ્લે ચડાવવી તે રાજકારણીઓનો કાયમી સ્વભાવ છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદના મૂળ ૨૦૧૪થી ૨૦૧૮ના સમયગાળા દરમિયાન ઉંડા ઉંડા ઉતરી ગયા તે આ વાતનો જીવંત પુરાવો છે. ભારતના રાજકારણીઓ જે ગંદુ રાજકારણ રમી સમસ્યાને વકરાવે છે અને પછી સામા પક્ષ પર દોષનો ટોપલો ઢોળે છે તેના કારણે આખરે સહન કરવાનો વારો તો પ્રજાનો જ આવે છે.
નકસલવાદ પણ પાંચથી છ રાજ્યોને આવરી લેતી સમસ્યા છે. પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, આંધ્ર, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ, છત્તીસગઢ પણ આમાં આવી જાય છે. પંજાબમાં ૧૯૮૨માં ત્રાસવાદે કાળો કેર વર્તાવ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં ૧૯૯૦ બાદ પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદનો ઉદય થયો. જે અત્યારે ચાલુ છે. આ આતંકવાદે પૃથ્વીના સ્વર્ગ ગણાતા વિસ્તારની હાલત બગાડી નાખી છે તેની તો નોંધ લીધા વગર ચાલે તેવું જ નથી. ભલે અત્યારે ત્યાં પહેલા કરતાં પરિસ્થિતિ સારી હોવાનો દાવો થતો હોય પરંતુ ગમે ત્યારે પરિસ્થિતિ વણસવાની શક્યતા નકારી શકાતી નથી. આજ એક કમનસીબી છે, જેનો કોઈ અંત નથી. અત્યારે ભારતમાં કોરોનાની બીજી લહેર પૂરજાેશમાં છે અને ગુજરાત મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કોરોનાની બીજી લહેરનું કારણ પણ રાજકારણીઓ જ છે. પાંચ રાજ્યો પૈકી ચાર રાજ્યોમાં મતદાન પૂર્ણ થયું. હવે રાજકીય ફૌજ પશ્ચિમ બંગાળમાં ખડકાશે. નકસલવાદની અસરવાળા વિસ્તારો તો પશ્ચિમ બંગાળમાં પણ છે. આ બાબત કેમ ભૂલાય જાય છે. પશ્ચિમ બંગાળમાં ભલે ૧૦ વર્ષમાં નકસલવાદી હૂમલાનો કોઈ મોટો બનાવ બન્યો નથી તે વાત સાચી છે પણ ત્યાં નકસલવાદ સાવ નાબૂદ થયો નથી તે પણ એક હકિકત છે જેની ના પાડી શકાય તેમ નથી.
નકસલવાદને નાથવા માટે જે નકસલગ્રસ્ત રાજ્યો છે તે અને કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે લડાઈ લડીને જ તેનો ઉકેલ લાવી શકશે તે પણ વાસ્તવિકતા છે, હકિકત છે. જો કે રાજકારણીઓની ઈચ્છાશક્તિનો અભાવ જ આના માટે વધુ જવાબદાર છે તે વાત તો નોંધવી જ પડશે.