ISRO ચીફ એસ.સોમનાથે વિવાદ સર્જાતા પોતાની આત્મકથા ‘નિલાવુ કુડિચા સિમ્હંલ’ પ્રકાશિત નહિ કરવાનો નિર્ણય લીધો છે. ચંદ્રયાન-3 સફળતા અપાવનાર ઇસરો ચીફ એસ.સોમનાથ સહિતના વૈજ્ઞાનિકોના દુનિયાભરમાં વખાણ થઈ રહ્યા છે. જો કે ઇસરો ચીફ એસ.સોમનાથ અત્યારે પોતાની ઓટોબાયોગ્રાફીને લઈને વિવાદમાં ઘેરાયા છે. એસ.સોમનાથે ચંદ્રયાન-2 અને પૂર્વ ઇસરો ચીફ સિવનને લઈને પોતાની આત્મકથામાં ગંભીર બાબતનો ઉલ્લેખ કરતા વિવાદ સર્જાયો છે.
એસ.સોમનાથે પોતાની આત્મકથામાં લખ્યું છે કે ચંદ્રયાન-2 મિશન ઉતાવળ ના કારણે ફેલ થયું. મિશન થવાનું કારણ આપતા દાવો કર્યો કે ચંદ્રયાન-2 મિશન માટે જરૂરી પરીક્ષણો પૂર્ણ કરવામાં આવ્યા ન હતા. આથી જ્યારે ચંદ્રયાન-2 લોન્ચ કરાયું ત્યારે નિષ્ફળ થયું. ચંદ્રયાન-2 મિશન સમયે ઇસરો ચીફ કે.સિવન હતા. એસ.સોમનાથે પૂર્વ ઇસરો ચીફ કે.સિવનને લઈને પોતાની આત્મકથામાં ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે સિવને મને ઇસરો ચીફ બનતા રોકવા પ્રયાસ કર્યો હતો. વર્તમાન ઇસરો ચીફના પૂર્વ ઇસરો ચીફ પર આરોપોને પગલે વિવાદ સર્જાયો.
એક મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં એસ.સોમનાથે ખુલાસો કર્યો કે ઓટોબાયોગ્રાફીમાં મારા જીવનના પડકારો વિશેની વાત કહેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ચંદ્રયાન-2 મિશન ઉતાવળ કરવાના કારણે નિષ્ફળ ગયું. અને તેમાં થયેલ ભૂલોને છુપાવવામાં આવી છે. મારું માનવું છે કે સંસ્થામાં પારદર્શિતા ત્યારે જ આવે જ્યારે લોકો સાચી હકીકતો જાણે. મેં ફક્ત લોકોને આ બાબતો જણાવવા પ્રયાસ કર્યો છે.
મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે સોમનાથે પોતાનાં પુસ્તકમાં પૂર્વ ઈસરો ચીફ કે.સિવનની આલોચના કરતી વાતો લખી છે. પોતાની આત્મકથામાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે કે.સિવન નિવૃત્ત થવાના બદલે પોતાનો કાર્યકાળ લંબાવ્યો હતો. ઇસરોના અધ્યક્ષ બન્યા બાદ પણ કે. સિવન વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રના ડાયરેક્ટર પદ પર રહ્યા હતા. ત્યારે એસ.સોમનાથે આ પદની માંગણી કરી હતી જેને તે સમયે ટાળી દેવામાં આવી હતી.
આ બાબત અંગે એસ.સોમનાથે કહ્યું કે પોતાની આત્મકથામાં તેમણે સંસ્થામાં ટોચના સ્થાન પર પંહોચવાના સંઘર્ષની વાત કરી છે. કોઈપણ એક ઊંચા પદ માટે અનેક વ્યક્તિઓ લાયક હોય છે. કોઈ પર વ્યક્તિગત ટિપ્પણી નથી કરી. તેમની બાબતનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું હોવાનું એસ.સોમનાથે જણાવ્યું. વિવાદો વધવાને લીધે ISRO ચીફ એસ.સોમનાથે પોતાની આત્મકથા નિલાવુ કુડિચા સિમ્હંલ પ્રકાશિત ન કરવાનો નિર્ણય લીધો છે.