Gandhinagar : રાજ્યના મુખ્યમંત્રી સોમનાથ મહાદેવના દર્શન કરવા ગયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવીને શ્રદ્ધા પૂર્વક પૂજન અર્ચન કર્યા હતા. દેવાધિદેવ મહાદેવ સમક્ષ મુખ્યમંત્રીએ સૌની સુખાકારી અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.
સોમનાથમાં પ્રથમવાર મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સોમનાથ મહોત્સવનો પ્રારંભ શરૂ કરવામાં આવશે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સોમનાથમાં પ્રથમ વાર ઉજવણી થનાર સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરાવવા સોમનાથની મુલાકાતે પહોંચ્યા હતા. આ મહોત્સવના ઉદઘાટન પૂર્વે મુખ્યમંત્રીએ 12 જ્યોતિર્લીંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સોમનાથ મંદિરના પંડિતોએ શ્લોકોચ્ચાર વચ્ચે મુખ્યમંત્રીને મંદિરના પ્રાંગણમાં આવકાર્યા હતાં. મુખ્યમંત્રીએ દેવાધિદેવ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરીને પૂજા-અર્ચના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌની સુખાકારી અને સમૃદ્ધિની પ્રાર્થના ભગવાન સોમનાથ સમક્ષ કરી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીને પ્રસાદ ભેટ આપવામાં આવી હતી.
પ્રવાસન મંત્રી મૂળુ બેરા, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય પ્રદ્યુમન વાજા, પ્રવાસન અને દેવસ્થાન વિભાગના સચિવ રાજેન્દ્રકુમાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજા, અગ્રણી સર્વશ્રી મહેન્દ્ર પીઠિયા, રાજશી જોટવા, માનસિંહ પરમાર તથા ગીર-સોમનાથ વહિવટી તંત્રના અને સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: કડી તાલુકાના નારોલા ખાતે રાજપૂત સમાજના સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હાજરી
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નશામુક્તિ અભિયાન વાનનું પ્રસ્થાન કરાવ્યું
