મહારાષ્ટ્રની ઉદ્વવ સરકારે રાજ્યમાં કોરોનાથી જીવ ગુમાવનારાઓને લઈને મોટી જાહેરાત કરી છે. રાજ્યની MVA સરકારે નિર્ણય લીધો છે કે અહીં કોરોના રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.કોરોનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને વળતર આપવાની જાહેરાત ઉદ્વવ સરકારે કરી છે.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શુક્રવારે કહ્યું કે ભારતે 22 નવેમ્બર સુધી 95 દેશોમાં કોવિડ-19 રસીના લગભગ 70.70 મિલિયન ડોઝનું વિતરણ કર્યું છે. તેમાંથી 12.7 મિલિયન ડોઝ સરકાર દ્વારા 47 દેશોને આપવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે બાકીના 58 મિલિયન સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા તેની કોમર્શિયલ અને કોવેક્સ જવાબદારીઓ હેઠળ સપ્લાય કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે દેશમાં આરોગ્ય માળખાકીય સુવિધાઓ બનાવવા માટે કેન્દ્ર આગામી પાંચ વર્ષમાં આશરે રૂ. 64,000 કરોડનું રોકાણ કરશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીએ અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લાની એક દિવસીય મુલાકાત દરમિયાન ખંડ્રો દ્રોવા જંગમો જિલ્લા હોસ્પિટલમાં આરોગ્ય અધિકારીઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન, તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર વિવિધ આરોગ્ય હસ્તક્ષેપ દ્વારા તમામને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવા માટે કામ કરી રહી છે.
