Gandhinagar News: ગુજરાતમાં બુધવાર ગોઝારો વાર બનીને આવ્યો છે. હાલમાં દશામાનું વ્રત રાજ્યના લોકો ઉત્સાહ અને આનંદપૂર્વક ઉજવી રહ્યા છે ત્યારે તેમા દુઃખદ બનાવ બન્યો છે. રાતના જાગરણ પછી ગાંધીનગર જિલ્લામાં વહેલી સવારે દશામાની મૂર્તિનું સાબરમતી નદીમાં વિસર્જન કરવા જતાં પાંચ જણા નદીમાં ડૂબ્યા છે.
આ ઘટના ગાંધીનગરમાં સેક્ટર 30 પાસે આવેલી સાબરમતી નદીના પટમાં બની હતી. તેના પગલે ચારેય બાજુ શોરબકોર મચી ગયો હતો. અગ્નિશામક દળની ભારે શોધખોળ પછી ડૂબેલા પાંચમાંથી ત્રણના મૃતદેહ મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે દશામાના વ્રતની પૂર્ણાહૂતિ થઈ હતી અને રાત્રે જાગરણ હતુ. તેના પછી આજે વહેલી સવારે વિસર્જન કરવા દરમિયાન આ ઘટના બની હતી.
મૃતકોના નામ જોઈએ તો અમદાવાદમાં અમરાઈવાડીમાં શિવાનંદનગરમાં રહેતા 30 વર્ષના અજયભાઈ વણઝારા, 34 વર્ષના ભારતીબેન પ્રજાપતિ અને 12 વર્ષની પૂનમબેન પ્રજાપતિનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આમ પણ વિસર્જન દરમિયાન આ પ્રકારની ઘટના બનતી જ રહે છે. પોલીસની ચેતવણી અને ચેતવણીના બોર્ડ હોવા છતાં પણ ભાવિકો તેમની શ્રદ્ધામાં મગ્ન થઈને ભાન ભૂલી જતા હોય છે અને ઘણી વખત કોણ છેક ઉંડે સુધી જઈ મૂર્તિ પધરાવે તેની ચડસાચડસીમાં લોકો પોતાનો જીવ ગુમાવે છે. તહેવારોની સીઝન દરમિયાન દર વખતે આવો કોઈને કોઈ બનાવ બનતો જ રહે છે. તેના લીધે થોડો સમય ખળભળાટ મચે છે. પછી પાછી પરિસ્થિતિ જેમની તેમ થઈ જાય છે. તેથી શ્રદ્ધાળુઓ વિસર્જન વખતે થોડી તકેદારી રાખે અને ચડસાચડસીમાં ન ઉતરે તો તેમનું જ જીવન બચશે. હજી તો ગણેશ વિસર્જન પણ બાકી છે. તેથી લોકોએ ચેતતા રહેવું જરૂરી છે.
આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી
આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો
