અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અસગર અફઘાને શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. અસગરે ટ્વિટર પર આ માહિતી આપી હતી. તે T20 વર્લ્ડ કપ 2021માં રવિવારે નામિબિયા સામે અફઘાનિસ્તાન માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમશે. T20 વર્લ્ડ કપ દરમિયાન અસગર અફઘાનનો નિર્ણય ચોંકાવનારો છે. અસગર અફઘાન T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિશ્વનો સૌથી સફળ કેપ્ટન છે. તેણે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો આ વર્ષે કેપ્ટન તરીકે 41 જીતનો રેકોર્ડ તોડ્યો હતો. અસગરની કપ્તાનીમાં અફઘાનિસ્તાનની ટીમે 52 ટી20માંથી 42 મેચ જીતી છે. અસગરે પોતાની કપ્તાનીમાં 59માંથી 34 વનડેમાં ટીમને જીત અપાવી છે.
زما او گران افغانستان د کرکټ په اړه، د ملي لوبغاړي په حیث زما وروستی پیغام
زنده باد افغانستان
تل دې وي افغانستانhttps://t.co/V7vMLRvugN— Asghar Afghan (@MAsgharAfghan) October 30, 2021
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ પણ અસગરની નિવૃત્તિ વિશે ટ્વિટર પર માહિતી આપી છે. બોર્ડે કહ્યું છે કે તે સ્ટાર ખેલાડીને ભવ્ય વિદાય આપશે. ACBએ લખ્યું, “અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અસગર અફઘાને નામિબિયા સામેની ત્રીજી મેચ માટે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે.”
33 વર્ષીય અસગર અફઘાન અફઘાનિસ્તાન માટે 6 ટેસ્ટ, 115 ODI અને 74 T20I રમ્યા છે. તમામ ફોર્મેટમાં તેણે પોતાની કારકિર્દીમાં 4234 રન બનાવ્યા છે. અગસરને 2015માં અફઘાનિસ્તાન ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ 2019 ODI વર્લ્ડ કપ પહેલા તેને કેપ્ટનશિપમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. વર્લ્ડ કપ બાદ તેને ફરીથી ટીમની કમાન સોંપવામાં આવી હતી. પરંતુ આ વર્ષે જૂનમાં તેને ફરીથી કેપ્ટન પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. તેમના બાદ રાશિદ ખાનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
