અફઘાનિસ્તાનની સ્થિતિ સતત કથળી રહી છે. તાલિબાનો દ્વારા અનેક વિસ્તારો કબજે કરી રહ્યું છે,જેના લીધે સમગ્ર વિસ્તારમાં દહેશતનો વાતાવરણ જોવા મળે છે. હેરાત પ્રાંતની સમગ્ર સરકારે તાલિબાન સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. એટલું જ નહીં, રાજ્યના રાજ્યપાલ, પોલીસ વડા, એનડીએસ કચેરીના વડાને તાલિબાનોએ કસ્ટડીમાં લીધા છે. આ સિવાય તાલિબાન સામે યુદ્ધના પ્રતીક એવા મોહમ્મદ ઈસ્માઈલ ખાનને પણ તાલિબાનોએ અટકાયતમાં લીધા છે. એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.
હેરાત વિસ્તાર ઉપરાંત તાલિબાનોએ કંદહાર પર પણ કબજો કર્યો છે, જે અફઘાનિસ્તાનનું બીજું સૌથી મોટું શહેર હોવાનું કહેવાય છે. છેલ્લા એક સપ્તાહમાં જ તાલિબાને દેશના 13 પ્રાંત કબજે કર્યા છે. તેણે ગુરુવારે રાત્રે કંદહાર કબજે કર્યું અને પછી સવાર સુધીમાં લશ્કરગાહ શહેર પણ તેમના કબજામાં આવી ગયું છે. એટલું જ નહીં, હવે તાલિબાનનું આગામી લક્ષ્ય કાબુલ હોવાનું મનાય છે અને પશ્ચિમી દેશોએ તેમના દૂતાવાસમાંથી રાજદ્વારીઓને નિકાળવાની તૈયારી શરૂ કરી દીધી છે. અમેરિકાએ તેના 3,000 સૈનિકોને પાછા મોકલ્યા છે, જે તેના રાજદ્વારીઓને સુરક્ષિત કરવા માટે કામ કરી રહ્યા છે.
દક્ષિણ અફઘાનિસ્તાનમાં કંદહાર અને પશ્ચિમમાં હેરાત પ્રાંત પર કબજો કર્યા બાદ તાલિબાન હવે કાબુલની ખૂબ નજીક છે. ગુરુવારે કતારની મધ્યસ્થીમાં તાલિબાન સાથે વાતચીત દરમિયાન, અફઘાન સરકારે તેને સત્તા-વહેંચણીની ઓફર કરી હતી પરંતુ તેણે હિંસા છોડી દેવાની શરત મૂકી છે. પરંતુ તાલિબાન હજુ પણ રાષ્ટ્રપતિ અશરફ ગનીની વિદાય અંગે મક્કમ છે.
હેરાતમાં તાલિબાનના આતંકને કારણે લોકો પોતાના ઘરોમાં બંધ થઇ ગયા છે અને દેશ છોડી રહ્યા છે. એક સરકારી અધિકારીએ શુક્રવારે સવારે જણાવ્યું હતું કે તાલિબાન સાથેની રાતની અથડામણમાં સેનાને પીછેહઠ કરવી પડી હતી. તાલિબાનોએ કંદહાર શહેર પર કબ્જો કરી લીધો છે અને હવે એક ભય છે કે કાબુલમાં રાષ્ટ્રીય સરકાર પડી શકે છે