ભચાઉ,
ભચાઉ સામખીયાળી હાઇવે ઉપર જીવલેણ અકસ્માતમાં થતા એક જ પરિવારના ચાર સભ્યોના મોત ભેટ્યા હતા. ભચાઉથી 8 કિલોમીટર દુર આવેલ વોંધ નજીક કન્ટેઇનર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક જ પરિવારના ચાર સભ્યોએ જીવ ગુમાવ્યો છે.
પરિવારના ચાર સભ્યોના મોત નિપજતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો. પરિવારમાં એક બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો. તો એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. મૃતક પરિવાર જામનગરના કલ્યાણપુરનો વતની હોવાથી તેમને મૃતદેહ મોડી રાત્રે તેમના વતન લઇ જવાયા હતા.અકસ્માતમાં ભોગ બનનાર ભાલારા પરિવારમાં આઠ માસની બાળકીની આખી જાણે જીંદગી જ છીનવાઇ ગઇ હોય તેમ લાગે છે.

રોંગ સાઇડમાં જઇ રહેલા કન્ટઇનર ટ્રેલર સાથે સામેથી આવતી ટાટા એરિયલ કાર અથડાતા કાર અડધી ટ્રેલરની નીચે ઘુસી ગઇ હતી. જેમાં સવાર ગાંધીધામના 9/બી આકાશગંગા સોસાયટી, ભારતનગરના રહેવાસી ભાલારા પરિવારના 35 વર્ષીય હંસીલભાઇ પી.ભાલારા, તેમના 33 વર્ષીય પત્ની બીનાબેન ભાલારા, હંસીલભાઇના 58 વર્ષીય માતા રંજનબેન પી. ભાલારા, પરસોત્તમ ત્રિભોવનભાઇ ભાલારા (ઉ.વ.64)નું મોત નિપજ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે પતિ-પત્નીના મોત થયું હતુ઼, તો રંજનબેનને વાગડ વેલ્ફેર હોસ્પીટલ લઇ જવાયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું પણ મોત થયું હતું,

અકસ્માતમાં ઘાયલ થનાર કંડલાના રિટાયર્ડ એક્ઝયુકેટીવ એન્જીનિયર પરષોત્તમભાઇ ટી ભાલારાને વાગડ વેલ્ફેરમાં ખસેડાયા બાદ ગંભીર ઇજાઓને કારણે 108 મારફત ભુજ ખસેડાયા હતા, જ્યાં રાત્રે તેમનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં પરિવારની આઠ માસની બાળકી ચૈત્રીનો ચમત્કારીક બચાવ થયો હતો અને અકસ્માત બાદ ભચાઉના સેવાભાવી લોકો તેને સુરક્ષિત સ્થાને લઇ ગયા હતા.
