અમદાવાદ: ગુજરાતના સાહિત્ય જગતના માંધાતા અને હાસ્ય લેખક વિનોદ ભટ્ટ આજે આ લૌકિક દુનિયાને છોડીને ચાલ્યા ગયા છે. આજે સવારે 11 વાગે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધો હતો. જો કે વિનોદ ભટ્ટની ઇચ્છાનુસાર તેમના અંતિમ સંસ્કાર કરવાના બદલે દેહદાન કરવામાં આવનાર છે. તેમની વિદાયથી હાસ્ય સાહિત્યનો ધ્રુવ તારો ખરી પડ્યો છે. જેના કારણે ગુજરાતની સાહિત્યમાંથી ‘વિનોદ’ હાસ્ય’ની વિદાય થઈ છે.
ગુજરાતી સાહિત્યના જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટ હવે આપણી વચ્ચે નથી રહ્યા. આજે સવારે તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. હાસ્ય લેખક વિનોદ ભટ્ટનો જન્મ તા. 14 જાન્યુઆરી, 1938 ના રોજ ગુજરાતનાં નાંદોલ ગામ ખાતે થયો હતો.
તેમણે 1955માં એસ.એસ.સી.ની પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી. અને 1961માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા. ત્યાર બાદ તેમણે એલ.એલ.બી.ની ડિગ્રી પણ મેળવી હતી. જો કે તેઓ વ્યવસાયે ટેક્સ કન્સલ્ટન્ટ (વેરા સલાહકાર) તરીકે કાર્યરત રહ્યા હતા. 1996 થી 1997 દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમણે ગુજરાતના વિવિધ ગુજરાતી અખબારમાં કટાર લેખનનું કાર્ય કર્યુ હતું.
વિનોદ ભટ્ટને કુમાર ચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક. રમણભાઈ નીલકંઠ પુરસ્કાર તેમજ જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિનોદ ભટ્ટે ૨૧ જેટલા હાસ્ય પુસ્તકો લખ્યા છે. તેમાં ‘પહેલું સુખ તે મૂંગી નાર’, ‘આજની લાત’, વિનોદ ભટ્ટની અ-રહસ્ય કથાઓ’, ‘વિનોદ ભટ્ટના પ્રેમ પત્રો’, ‘ઇદમ તૃતીયમ’, ‘ઇદમ ચતુર્થમ’, ‘વિનોદ’ની નજરે, આંખ આડા કાન, અમદાવાદ એટલે અમદાવાદ, નરો વા કુંજરો વા, અથથી ઇતિ જેવા હાસ્ય પુસ્તકોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત તેમને ચરિત્ર કથા, હિન્દીમાં દેખ કબીરા રોયા, સુના અનસુના, બૈતાલ છબ્બીસી, ભૂલચૂક લેની દેની અને ચાર્લી ચેપ્લિન ઉપરાંત સિંધી ભાષામાં ‘નજર નજર જો ફેર’ પુસ્તક લખ્યા છે.
વિનોદ ભટ્ટને આ એવોર્ડથી સન્માનિત કરાયા હતા
1976 – કુમાર ચંદ્રક
1989 – રણજિતરામ સુવર્ણચંદ્રક
2016 – રમણભાઇ નીલકંઠ પુરસ્કાર
જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક
