Not Set/ નરોડા પાટિયા કેસમાં ક્યારે શું થયું અને કોણે કેટલી સજા ફટકારાઇ, જાણો સમગ્ર ઘટનાક્રમ માત્ર એક ક્લિક પર

અમદાવાદ, વર્ષ ૨૦૦૨માં અમદાવાદ શહેરમાં થયેલા બહુચર્ચિત નરોડા પાટિયા કેસમાં ગુજરાત હાઇકોર્ટે ૧૬ વર્ષના લાંબા સમયગાળા બાદ મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપતા ભાજપના નેતા અને પૂર્વ મંત્રી માયા કોડનાનીને નિર્દોષ છોડ્યાં છે જયારે બીજા મુખ્ય આરોપી અને બજરંગ દળના નેતા બાબુ બજરંગીની આજીવન કેદની સજામાં રાહત આપતા તેઓને કોર્ટે ૨૧ વર્ષની સજા […]

Top Stories Gujarat

અમદાવાદ,

વર્ષ ૨૦૦૨માં અમદાવાદ શહેરમાં થયેલા બહુચર્ચિત નરોડા પાટિયા કેસમાં ગુજરાત હાઇકોર્ટે ૧૬ વર્ષના લાંબા સમયગાળા બાદ મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપતા ભાજપના નેતા અને પૂર્વ મંત્રી માયા કોડનાનીને નિર્દોષ છોડ્યાં છે જયારે બીજા મુખ્ય આરોપી અને બજરંગ દળના નેતા બાબુ બજરંગીની આજીવન કેદની સજામાં રાહત આપતા તેઓને કોર્ટે ૨૧ વર્ષની સજા ફટકારી છે.

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ હર્ષા દેવાણી અને જસ્ટિસ એ એસ સુપેહિયાની ખંડપીઠે આ મામલે સુનાવણી પૂરી થયા બાદ મહત્વનો ચુકાદો આપ્યો હતો. મહત્વનું છે કે, આ પહેલા નીચલી કોર્ટ દ્વારા આ કેસમાં ભાજપના નેતા માયા કોડનાની અને બાબુ બજરંગી સહિત કુલ ૩૨ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. જો કે ત્યારબાદ શુક્રવારે આ ચકચારી રમખાણોના કેસ મામલે હાઇકોર્ટે પોતાનો મહત્વનો નિર્ણય આપ્યો હતો.

નરોડા પાટિયા કેસમાં આરોપી કુલ ૩૨ આરોપીઓમાંથી માયા કોડનાની સહિત ૧૭ આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે જયારે અન્ય બાબુ બજરંગી સહિતના ૧૨ આરોપીઓને કોર્ટે સજા ફટકારી છે. કુલ ૩૨ માંથી ૨ આરોપીને હજી સજા સંભળાવવામાં આવી નથી જયારે એક આરોપીનું મોત નીપજી ચુક્યું છે.

પરંતુ તમે આ બહુચર્ચિત નરોડા પાટિયા કેસની ઇનસાઇડ સ્ટોરી નહીં જાણતા હોય, જુઓ :

૨૫ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ ઉત્તરપ્રદેશના અયોધ્યાથી મોટી સંખ્યામાં કારસેવકો સાબરમતી એક્સ્પ્રેસ ટ્રેનમાં અમદાવાદ આવવા માટે સવાર થયા હતા.

પરંતુ આ ટ્રેન જયારે ૨૭ ફેબ્રુઆરી ગુજરાતના ગોધરા રેલ્વે સ્ટેશન પહોચી ત્યારે કેટલાક અજાણ્યા અલ્પસંખ્યક સમૂહના ટોળાએ ટ્રેનમાં આગ લગાડી હતી જેમાં ૫૯ કારસેવકોને જીવતા સળગાવવામાં આવ્યા હતા.

જો કે ત્યારબાદ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ગોધરા કાંડના વિરોધમાં બંધ બોલાવ્યું હતું. પરંતુ આ દરમિયાન કેટલાક ગુસ્સેથી ભરાયેલા ટોળાએ નરોડા પાટિયામાં હુમલો બોલ્યો હતો અને કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોમાં ૯૭ લોકોની હત્યા કરવામાં આવી હતી અને ૩૦થી વધુ ઘાયલ થયા હતા.

ત્યારબાદ ૨૦૦૯ના ઓગસ્ટ મહિનામાં નરોડા પાટિયા કેસ અંગે કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણીમાં ૮૨ આરોપીઓ વિરુધ ૧૨૦૦ પાનાની ચાર્જસીટ દાખલ કરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન એક આરોપીનું મોત પણ થયું હતું.

આ સુનાવણી દરમિયાન કુલ ૩૨૭ વ્યક્તિઓના નિવેદન લેવામાં આવ્યા હતા જેમાં આ કેસના પીડિતો, ડોકટરો, પોલીસ અધિકારીઓ તેમજ કેટલાક સરકારી અધિકારી પણ શામેલ હતા.

૨૯ ઓગસ્ટ, ૨૦૧૨ના રોજ સ્પેશિયલ કોર્ટ દ્વારા ભાજપના નેતા અને પૂર્વ મંત્રી માયા કોડનાની સહિત ૩૨ આરોપીઓને સજા ફટકારી હતી. જેમાં માયા કોડનાનીને ૨૮ વર્ષની સજા સંભળાવી હતી.

આ કેસમાં ભાજપના પૂર્વ મંત્રી માયા કોડનાની પર આરોપ હતો કે, તેઓએ લોકોના ટોળાને કથિત રીતે મુસ્લિમો પર હુમલો કરવા માટે ઉપસાવ્યા હતા.

આ મામલામાં અન્ય એક મુખ્ય આરોપી બજરંગ દળના નેતા બાબુ બજરંગીને આજીવન કેદની સજા ફટકારી હતી.જયારે અન્ય ૭ દોષિત આરોપીઓને ૨૧ વર્ષની સજા અને અન્ય આરોપીઓને ૧૪ વર્ષની સજા ફટકારી હતી.

નરોડા પાટિયા કેસમાં નીચલી અદાલત દ્વારા પૂરતા પુરાવા ન હોવાના કારણે અન્ય ૨૯ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જો કે ત્યારબાદ તેઓએ આ કેસને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જયારે આ કેસ માટે ગઠિત કરવામાં આવેલી SIT દ્વારા પણ ૨૯ લોકોની નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને પણ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

મહત્વનું છે કે, ૨૦૦૨માં થયેલા બહુચર્ચિત નરોડા પાટિયા કેસ એ દેશમાં થયેલા મોટા ૯ સાંપ્રદાયિક રમખાણોમાંના એક હતો, જેની તપાસ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી SIT દ્વારા કરવામાં આવી હતી.