વડોદરાઃ દેશભરમાં પ્રવર્તમાન સમયમાં ખેત ઉત્પાદનો, સિંચાઈ, પાકવીમા જેવી સમસ્યાઓને લઈને ખેડૂત આપઘાત કરી રહ્યો છે ત્યારે વડોદરા ખાતે એક સાર્વજનિક ગણેશ ઉત્સવના પંડાલમાં આત્મહત્યા કરી રહેલા ખેડૂતની વિઘ્નહર્તા ગણેશજી તેને બચાવીને તેના અને તેના પરિવારજનોની રક્ષા કરતા હોય તેવા સંદેશા સાથેની મૂર્તિએ અનેરું આકર્ષણ જગાવ્યું છે.
ગણેશ ચતુર્થીને લઈ વડોદરા શહેરમાં દર વર્ષે અલગ-અલગ સંદેશાઓ અને થીમ ઉપર ગણપતિની સ્થાપના કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે વડોદરા શહેરના એકદંત યુવક મંડળ દ્વારા ભગવાન ગણેશ ખેડૂતની રક્ષા કરતા હોય તેવી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.
ભગવાન ગણેશજીનાં દસ દિવસનાં ઉત્સવમાં લોકો ગણેશ મૂર્તિમાં અલગ-અલગ સંદેશા પાઠવવાની થીમ સાથે બનાવતા હોય છે. આ વર્ષે વડોદરા ખાતે આવેલા વાઘોડિયા રોડ પર આવેલા એકદંત યુવક મંડળ દ્વારા એક અનોખી થીમ અને સંદેશો આપતી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.
આ એકદંત ગણેશ મંડળમાં ખાસ કરીને વધુમાં વધુ ખેડૂત યુવકો છે. આથી આ વખતે આ એકદંત ગણેશ મંડળ દ્વારા ભગવાન ગણપતિ આત્મહત્યા કરતા ખેડૂતને બચાવીને તેના પરિવારની રક્ષા કરતા હોય તેવી થીમ વાળી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રવર્તમાન સમયમાં ગુજરાત, મહારાષ્ટ્ર, સહીત દેશભરમાં ખેડૂતોનાં આત્મહત્યા કરતા કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે આ સંજોગોમાં આત્મહત્યા કરી રહેલા ખેડૂતની રક્ષા કરતા ગણેશજીની આ પ્રતિમાની સ્થાપના કરીને આયોજકો દ્વારા શહેર, રાજ્ય અને દેશમાં એક અનોખો સામાજિક સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
