અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને શહેર ટ્રાફિક પોલીસની જરૂરિયાત મુજબ એએમસી તંત્ર દ્વારા નવા ૫૦ ટ્રાફિક સિગ્નલ ઊભા કરવાની દિશામાં રૂ.૧૦.૭૭ કરોડનો ખર્ચ કરવાના પ્રસ્તાવને મંજૂર કરવામાં આવ્યો છે. આ તમામ ટ્રાફિક સિગ્નલ જાન્યુઆરી-૨૦૧૯ સુધીમાં કાર્યરત થઈ જશે. હાલમાં અમદાવાદ શહેરમાં કુલ ર૧૧ ટ્રાફિક સિગ્નલ કાર્યરત છે.
અમદાવાદ શહેરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ થયો હોવાથી શહેરમાં ૧૩૦ ટ્રાફિક સિગ્નલ ઊભા કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. જો કે આ પૈકીના ૯૨ ટ્રાફિક સિગ્નલ શહેરમાં હયાત છે જયારે અન્ય ૩૮ જંકશન પરની કાર્યવાહી બાકી રહેલી છે. જે પૈકી હાલમાં ૨૩ જંક્શન પર ઔડા દ્વારા ટ્રાફિક સિગ્નલ ઊભા કરવામાં આવી રહ્યા છે, જ્યારે બાકીનાં ૧૫ જંકશન પર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ટ્રાફિક સિગ્નલ ઊભા કરવાના થાય છે.
આ દરમિયાન શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના ૫૨ જંકશન ૧૩૬ ટ્રાફિક સિગ્નલ ઊભા કરવાની માગણી આવી હતી, પરંતુ મ્યુનિસિપલ સત્તાવાળાઓએ બજેટના અભાવે ખાસ પ્રાયોરિટી ધરાવતાં ટ્રાફિક સિગ્નલની યાદી મોકલવાનો આગ્રહ ટ્રાફિક પોલીસને કર્યો હતો, જેના કારણે નવા ૩૫ ટ્રાફિક સિગ્નલ ઊભા કરવાના થાય છે.
આમ, સ્માર્ટ સિટી અંતર્ગત તથા શહેર ટ્રાફિક પોલીસ વિભાગની રજૂઆતને ધ્યાનમાં લઈને કુલ ૫૦ જંક્શન પર ટ્રાફિક સિગ્નલ ઊભા કરવામાં આવશે. આ નવા ટ્રાફિક સિગ્નલના નિર્માણ અને તેના પાંચ વર્ષ સુધીના ઓપરેશન, મેન્ટેનન્સ માટે રૂ. ૧૦.૭૭ કરોડના ખર્ચના અંદાજને મંજૂર કરવામાં આવ્યો છે.
ક્યાં ક્યાં જંકશન પર મુકાશે ટ્રાફિક સિગ્નલ
શહેરના જે ટ્રાફિક જંકશન પર સિગ્નલ મુકવામાં આવનાર છે, તેમાં શાહીબાગ અંડરબ્રિજ, હાટકેશ્વર સર્કલ, પ્રેમ દરવાજા, રેવડી બજાર ચાર રસ્તા, ગુરુદ્વારા-એસજી હાઈવે, સોલા ભાગવત, થલતેજ સર્કલ, એરપોર્ટ સર્કલ, સીટીએમ જંક્શન, વિસત ત્રણ રસ્તા, ઉમિયા હોલ ત્રણ રસ્તા, સુભાષબ્રિજ સર્કલ, આરટીઓ સર્કલ, સિમ્સ હોસ્પિટલ, નારોલ સર્કલ, સુભાષ ચોક ચાર રસ્તા, ગોતાબ્રિજ નીચે, બોડકદેવ-IOC પેટ્રોલ પંપ, નારણપુરા ચાર રસ્તા, અંકુર ચાર રસ્તા, નિર્માણપુરા ચાર રસ્તા, પોટલિયા ચાર રસ્તા, હીરાવાડી ચાર રસ્તા, કાલુપુર પોલીસ સ્ટેશન, સિવિલચોકી ત્રણ રસ્તા, ગેવિયર સર્કલ, રાજસ્થાન હોસ્પિટલ, નરોડા ગામ સર્કલ, નાના ચિલોડા ગામ ચાર રસ્તા, કોતરપુર ત્રણ રસ્તા, નરોડા-બેઠક, ગુજરાત બોટલિંગ ચાર રસ્તા, સુખરામનગર ચાર રસ્તા, ભીડભંજન ચાર રસ્તા, કાલિદાસ ચાર રસ્તા, અનુપમ ચાર રસ્તા, પાંજરાપોળ ચાર રસ્તા, વસ્ત્રાલ ચાર રસ્તા, નિકોલ-ખોડિયાર મંદિર, ગોવિંદવાડી ચાર રસ્તા, આવકાર હોલ ચાર રસ્તા, પીરાણા ચાર રસ્તા, અપ્સરા સિનેમા, ફૂટબોલ ગ્રાઉન્ડ ચાર રસ્તા, અચેર ચાર રસ્તા, દરિયાપુર દરવાજા, જીએસટી ક્રોસિંગ, સોનલ સિનેમા ચાર રસ્તા, છડાવાડ પોલીસચોકી અને ઉજાલા સર્કલનો સમાવેશ થાય છે.
