સિહોરમાં વરસાદ બાદ રોગચાળો ફાટી નીકળે નહિ એ માટે સાવધાની રાખવામાં આવી રહી છે. અત્યારે વરસાદી વાતાવરણમાં ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળો અને પાણીજન્ય રોગચાળો વકરતો હોય છે. પરંતુ તંત્રની સઘન કામગીરી અને લોકજાગૃતિને કારણે ભાવનગર જિલ્લામાં આ રોગો પર ઘણાઅંશે નિયંત્રણ કરી શકાયું છે. રોગચાળો
આ કામગીરી માટે તંત્ર સાથે લોકોનો પણ સહયોગ મળે તો આ કામગીરી વધુ વેગવાન રીતે કરીને રોગચાળાને અંકુશિત કરી શકાય છે. ભાવનગર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણીકુમાર, આર.સી.એચ.ઓ. ડો. કોકીલાબેન સોલંકી, જિલ્લા મેલેરીયા અધિકારી ડો. બી.પી. બોરીચાની સૂચના અને માર્ગદર્શનથી તાલુકા હેલ્થ ઓફિસર ડો. સી.ટી. કણઝરીયા અને તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિતના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાણા, મઢડા, સોનગઢ, સણોસરા, ઉસરડ અને સિહોર અર્બનની ટીમો દ્વારા દર માસના પ્રથમ અને ત્રીજા શનિવારે સિહોર અર્બન અને સિહોરના જુદા- જુદા વિસ્તારોમાં મચ્છર ઉત્પત્તિ અટકાવવાં માટેના પ્રયાસો કરવામાં આવે છે.

લોકોને પાણીના તમામ પાત્રો ઢાંકીને રાખવાં, ચકલાના કૂંડા, ઝાડના કૂંડા, કૂતરાઓ માટેની કૂંડી, ફ્રીજની ટ્રે સાફ કરવી, ટાયરો અને ભંગાર અગાસી પરથી દૂર કરીને મચ્છર ઉત્પત્તિ અટકાવવી તેમજ પાણીને ઉકાળીને પીવાથી તેમ જ ક્લોરીનયુક્ત કરાવવાથી પણ મચ્છરજન્ય રોગચાળો અટકે છે તે વિશેની સમજ લોકોને આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુપરવાઇઝરો તથા આરોગ્ય કર્મચારીઓ સતત પોતાના કાર્ય ક્ષેત્રમાં રોગચાળાને અટકાવવાં માટે આશા અને આશાફેસીની ટીમો સાથે સતત કામગીરી કરી રહ્યાં છે.
આ પણ વાંચો : દિયોદર કોંગ્રેસના ધારાસભ્ય શિવા ભુરિયા સહીત છને ફરી એક વાર સસ્પેન્ડ કરવાનું કારણ છે આવું
