Uttar Pradesh News: મેરઠમાં પંડિત પ્રદીપ મિશ્રાની શિવપુરાણ કથામાં ભીડ કાબૂ બહાર બનતા દુર્ઘટના બનવા પામી. કથા સ્થળે ભીડ બેકાબુ બનતા ભગદડ મચતા વૃદ્ધો અને મહિલાઓ સહિત અનેક લોકો ઘાયલ થયાના અહેવાલ છે. જણાવી દઈએ કે આજે કથાનો છઠ્ઠો દિવસ છે. આવતીકાલે કથાનો છેલ્લો દિવસ હશે. આવી સ્થિતિમાં આજે લાખો ભક્તોની ભીડ જામી છે.

પ્રાથમિક માહિતી મુજબ કથામાં પહોંચતા લોકોની ભીડ કાબૂ બહાર જતી રહી હતી. આવી સ્થિતિમાં ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પહેલા તો લોકોએ ધક્કો મારવા માંડ્યો અને પછી નાસભાગ મચી ગઈ. છેલ્લા 6 દિવસથી ચાલી રહેલી કથામાં પંડિત પ્રદીપ મિશ્રાને સાંભળવા દરરોજ એક લાખથી વધુ લોકો આવી રહ્યા છે. પંડાલની અંદર અને આસપાસ પોલીસ ફોર્સ પહેલેથી જ તૈનાત છે. નાસભાગની માહિતી મળતા જ અન્ય પોલીસ સ્ટેશનના પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં ઘણી મહિલાઓ, બાળકો અને વૃદ્ધો ઘાયલ થયા છે. નાસભાગમાં અડધો ડઝન મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ભીડને કાબૂમાં લીધી હતી. હાલ સ્થિતિ સામાન્ય હોવાનું કહેવાય છે. મેડિકલ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
ઘટનાને લઈને મળેલ જાણકારી મુજબ શતાબ્દીનગરમાં શ્રી કેદારેશ્વર સેવા સમિતિ દ્વારા શિવપુરાણ મહાકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા 15મી ડિસેમ્બરથી ચાલી રહી છે. કથા બપોરે 1 વાગ્યે શરૂ થાય છે અને 4 વાગ્યા સુધી ચાલે છે. દરરોજ લાખો ભક્તો કથા સાંભળવા આવી રહ્યા છે. આયોજકો દ્વારા વાહનો પાર્ક કરવા માટે 7 પાર્કિંગ લોટ બનાવવામાં આવ્યા છે. તે જ સમયે, લગભગ 1000 પોલીસકર્મીઓ સ્થળ પર તૈનાત છે.એન્ટ્રી ગેટ પર અવ્યવસ્થાના કારણે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

આયોજકોના જણાવ્યા મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસની સહાયથી સ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું છે. તેમજ એસએસપી ડો.વિપિન ટાડા તમામ વ્યવસ્થા જોઈ રહ્યા છે. ભક્તો માટે શુધ્ધ પાણી, ભોજન અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. મેરઠના એસએસપીએ કહ્યું કે મોટી ભીડને કારણે આવી સ્થિતિ સર્જાઈ અને કોઈને ગંભીર ઈજા થઈ નથી. પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રિત કરવામાં આવી છે. ઘણા પોલીસ અધિકારીઓ, મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે હાજર છે. એસપી ટ્રાફિક રાઘવેન્દ્ર મિશ્રાના જણાવ્યા અનુસાર, કથા પંડાલ અને આસપાસના વિસ્તારો પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કથાના કારણે ટ્રાફિક પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:યુપીમાં પારો 8 ડિગ્રી સુધી નીચે જશે, બિહારના 15 જિલ્લામાં વરસાદનું એલર્ટ, વાંચો હવામાન અપડેટ
આ પણ વાંચો:બિહારના ગયામાં ડેપ્યુટી મેયર શાકભાજી વેચી કરી રહ્યા છે ગુજરાન, જાણો ચિંતા દેવીની કહાની
