ટીમ ઈંન્ડિયામાં ચોથા નંબર પર કયા બેટ્સમેનને રમાડી શકાય તે સવાલ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે. ત્યારે આઈપીએલમાં દિલ્હી કેપિટલ તરફથી રમતા બે બેટ્સમેન વચ્ચે ટીમ ઈન્ડિયામાં ચોથા નંબર પર રમવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કેપ્ટન વિરાટ કોહલી પણ આ સમસ્યા જાણે છે, તેથી તેને કાયમી ધોરણે હલ કરવા માંગે છે. રવિવારે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની મેચમાં રિષભ પંત અને શ્રેયસ અય્યર બંનેને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ હતુ. પંત ચોથા નંબર પર અને શ્રેયસ પાંચમાં ક્રમે બેટિંગ કરવા આવ્યા હતા. આ બંને માટે આ એક મોટી તક હતી, પરંતુ દર વખતની જેમ આ વખતે પણ રિષભ પંતે આ તક ગુમાવી, જ્યારે શ્રેયસે તેને હાથમાંથી ન જવા દીધી.
ટોસ સમયે જ્યારે કેપ્ટન વિરાટ કોહલીને પૂછવામાં આવ્યું કે ચોથા નંબર પર કોણ બેટિંગ કરવા આવશે, ત્યારે તેણે કહ્યું કે રિષભ પંત આ નંબર પર બેટિંગ કરશે. તેનાથી સ્પષ્ટ હતું કે શ્રેયસ અય્યર પાંચમાં નંબર પર આવશે. જ્યારે રિષભ પંત ક્રિઝ પર આવ્યો, ત્યારે કેપ્ટન કોહલી ક્રીઝ પર હતો, તે પંતને લઇને દૂર સુધી આવ્યો અને તેનો હાથ પંતનાં ખભા પર મુકી પિચ તરફ લઈ ગયો હતો. આ દરમિયાન તેણે પંતને સમજાવ્યો. બંને વચ્ચે લગભગ 30 સેકંડ સુધી વાતચીત થઈ, પંતે તેની ઇનિંગ્સનાં ચોથા બોલ પર ચોક્કો પણ લગાવ્યો, એવું લાગી રહ્યું હતું કે વિરાટ કોહલીની સલાહ પંત માટે કામમાં આવી છે અને તે લાંબી ઇનિંગ રમશે.
નોંધપાત્ર વાત એ છે કે, વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી -20 શ્રેણીની છેલ્લી અને ત્રીજી મેચમાં, જ્યારે રિષભ પંતે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું, ત્યારે બીજા છેડે માત્ર કેપ્ટન વિરાટ કોહલી જ હતો. એવું લાગી રહ્યું હતું કે ફરી આ જોડી આવુ જ કઇક કરશે, પરંતુ તે થઈ શક્યું નહીં. રિષભ પંત 35 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો. પંતના આઉટ થવાની રીત લગભગ સમાન જ હોય છે. સેટ થઈ ગયા પછી, તે તેની વિકેટ ફેંકીને ચાલવા લાગે છે, આ વખતે પણ તે પુલ મારવાના પ્રયાસમાં આઉટ થઇ ગયો હતો.
રિષભનાં આઉટ થયા બાદ, દરેકની નજર શ્રેયસ અય્યર પર કેન્દ્રિત હતી, જે બેટિંગ કરવા પાંચમાં ક્રમે આવ્યો હતો, તેણે કેપ્ટનની આશાઓને પાણીમાં ન ફેરવી અને શાનદાર બેટિંગ કરી. શ્રેયસ અય્યરે 68 બોલમાં 71 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેનો સ્ટ્રાઇક રેટ સો કરતા ઉપર હતો. ભારતની જીત માટે શ્રેયસનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યુ. રવિવારની મેચથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે શ્રેયસે ચોથા નંબર પર કોણ આવી શકે તેનો દાવો તેની બેટિંગ દ્વારા કરી દીધો છે અને જે રિષભ પંત માટે જોખમી બની શકે છે.
જો આપણે અત્યાર સુધી રમાયેલી વન-ડે આંતરરાષ્ટ્રીય મેચની વાત કરીએ તો સ્પષ્ટ થઈ જશે કે શ્રેયસ અય્યર પંત કરતા વધુ ગંભીરતાથી રમી રહ્યો છે. રિષભ પંતે અત્યાર સુધીમાં 11 વનડે મેચ રમી છે, જેમાં તે અત્યાર સુધી કોઈ અડધી સદી ફટકારી શક્યો નથી. તેનો સર્વોચ્ચ સ્કોર 48 રન છે. પંતે 25 રનની સરેરાશ અને 97 નાં સ્ટ્રાઇક રેટથી 229 રન બનાવ્યા છે. બીજી તરફ, જો શ્રેયસ અય્યરની વાત કરીએ તો તે માત્ર આઠ મેચ રમ્યો છે, જેમાં તેણે ત્રણ અર્ધસદી ફટકારી છે. શ્રેયસની સરેરાશ 46 અને સ્ટ્રાઇક રેટ 98 છે. તેણે અત્યાર સુધીમાં 286 રન બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ આંકડાઓ બતાવે છે કે ટીમ ઈંન્ડિયા માટે કયો ખેલાડી ભવિષ્ય બની શકે છે. એક તરફ રિષભ જોશમાં રમી પોતાની વિકેટને આસાનીથી ફેંકી દે છે તો બીજી તરફ શ્રેયસ અય્યર ગંભીરતાથી પોતાની ઇંનિગ્સને આગળ વધારવામા માનતો હોય તેમ દેખાઇ રહ્યુ છે.
નોંધનીય છે કે ભુવનેશ્વર કુમારની (4 વિકેટ) બેટિંગમાં વિરાટ કોહલી (120) અને શ્રેયસ અય્યર (71) નાં દમ પર ભારતે બીજી વનડેમાં વેસ્ટ ઇન્ડીઝને 59 રનથી હરાવી દીધુ છે. ભારતે પહેલા બેટિંગ કરતા વિન્ડિઝ સામે 280 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ વરસાદ વિન્ડિઝની ઇનિંગ દરમિયાન 12.5 ઓવરમાં આવ્યો હતો, જેનાથી યજમાન ટીમને 46 ઓવરમાં 270 રનનો સુધારિત લક્ષ્યાંક મળ્યો હતો. વિન્ડિઝ 42 ઓવરમાં 210 રનમાં જ ઓલ આઉટ થઇ ગયુ હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.