રાંચીમાં મધર ટેરેસાની સંસ્થા મિશનરીઝ ઓફ ચેરિટીની સંસ્થા પાર નવજાત બાળકોના વેચાણનો આરોપ લાગ્યા છે. આ મામલામાં મિશનરીઝ ઓફ ચેરિટી હોમની એક કર્મચારીની કોતવાલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ સાથે બે અન્ય સિસ્ટરની પણ અટકાયત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આ સંસ્થાની આ મહિલા સામે એવો આરોપ છે કે, ચેરિટી હોમની આ મહિલા સંસ્થાના સંચાલકની સાથે મળીને અડધો ડઝન નવજાત બાળકોને અત્યાર સુધીમાં વેચી ચૂકી છે. ચાઈલ્ડ વેલ્ફેર કમિટી એટલે કે સીડબ્લ્યુસીની તપાસમાં આ હકીકતનો ખુલાસો થયો હતો કે, એક બાળકના અવેજમાં 1.20 લાખ રૂપિયા સુધીની રકમ લેવામાં આવી હતી.
ચાઈલ્ડ વેલ્ફેર કમિટીની સદસ્ય સીમાદેવીએ જણાવ્યું હતું કે, હોમની કર્મચારી અનિમા ઈંદવાર શંકાના દાયરામાં છે. જો કે હાલમાં કોતવાલી પોલીસે તેણીની ધરપકડ કરી લીધી છે. પોલીસનું કહેવું છે કે, ખુદ અનિમાએ સ્વીકાર કર્યું હતું કે, અત્યાર સુધીમાં અડધો ડઝન નવજાત બાળકોને ચેરિટી હોમની સંચાલિકા સિસ્ટર કનસીલિયાની સાથે મળીને વેચી ચૂકી છે. માનવ તસ્કરી અને ગેરકાયદેસર રીતે બાળકોને વેચવાનો સનસનાટી મચાવી દેનારો મામલો બહાર આવ્યા પછી પોલીસે તપાસને વધુ ગતિવાન બનાવી દીધી છે.
આ આરોપ પછી પોલીસે તેની તપાસનો દાયરો વધારી દીધો છે. આ મામલે હાલમાં કોતવાલી પોલીસે ચેરિટી હોમની મહિલા કર્મચારી અનિમા ઈંદવારની ધરપકડ કરીને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપી છે. જયારે સિસ્ટર કનસીલિયા અને સિસ્ટર મેરીની પણ અટકાયત કારીને પોલીસે પૂછપરછ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ આ દરમિયાન આરોપી મહીલાઓએ પોલીસની સમક્ષ બાળકો વેચવાની વાતને કબૂલ કરી લીધી છે. હજુ સુધી પ્રાથમિક માહિતી મુજબ ચાર બાળકોને ગેરકાયદેસર રીતે વેચવાનો મામલો સામે આવી ગયો છે. પૂછપરછ દરમિયાનમાં પોલીસને અએવી પણ માહિતી મળી છે કે, અત્યાર સુધીમાં સંસ્થાની તરફથી રાંચીના કાંટાટોલી, મોરહાબાદી સિમડેગા અને યુપીમાં બાળકોને વેચી દેવામાં આવ્યા છે. તેના અવેજમાં ખરીદદારો પાસેથી ખાસ્સી મોટી રકમ પણ લેવામાં આવી હતી.
તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, એક અવિવાહિત માં મિશનરીઝ ઓફ ચેરિટી સંસ્થાના સંરક્ષણમાં રહેતી હતી. તેણીના દોઢ મહિનાના બાળકને સંસ્થા દ્વારા યુપીના નિવાસી સૌરભ કુમાર અગ્રવાલ અને તેમની પત્ની પ્રીતિને વેચી દેવામાં આવ્યું હતું. આના બદલામાં બંને પાસેથી હોસ્પિટલ ખર્ચના નામ પર એક લાખ ૨૦ હજાર રૂપિયા પણ લેવામાં આવ્યા હતા.
આ રકમને સંસ્થાના અનિમા ઈંદવાર, સિસ્ટર કનસીલિયા અને ગાર્ડની વચ્ચે વહેંચી લેવામાં આવી હતી. પરંતુ પૈસા લીધા પછી પણ તેમને બાળક મળ્યું ન હતું, જે અંગેની ફરિયાદ તેમણે સીડબ્લ્યુસીને ફરિયાદ કરી હતી. જો કે હાલમાં આ મામલાની તપાસ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે, આ મામલામાં હજુ કેટલાક વધુ લોકોની ધરપકડ થઈ શકે છે.