વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈયરનું ગુરૂવાર સવારે 94 વર્ષની વયે બીમારીના લીધે નિધન થયું છે. તેઓ છેલ્લા લાંબા સમયથી બિમારીથી પીડાતા હતા.
સિનિયર પત્રકાર કુલદીપ નૈયરનો જન્મ 14 ઓગષ્ટ 1924ના રોજ સિયાલકોટમાં થયો હતો. કુલદીપ નૈયરે લોની ડિગ્રી લાહોરમાંથી મેળવી હતી. જયારે પત્રકારિતાની ડીગ્રી તેમણે યૂએસમાંથી લીધી હતી. તેમણે ફિલોસોફીમાં પીએચડીની પદવી પણ મેળવી હતી.
ભારતીય જર્નાલિઝમનો મહત્વનો ચહેરો માનવામાં આવતા કુલદીપ નૈયરનું આજે નિધન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે છેલ્લા કેટલાક દિવસથી બિમારીના કારણે દિલ્હીની એક હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર કરાવી રહ્યા હતા. જો કે, ઘણા લાંબા સમયથી તેમની તબીયત નાદુરસ્ત રહેતી હતી. ગુરૂવાર વહેલી સવારે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આજે બપોરે એક કલાકે લોધી રોડ પર સ્થિત ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
કુલદીપ નૈયર કેટલાય પુસ્તક પણ લખ્યા છે. કુલદીપ નૈયરે ભારત સરકારના પ્રેસ સૂચના અધિકારી પદ પર ઘણા વર્ષ સુધી કાર્ય કર્યા બાદ યૂએનઆઈ, પીઆઈબી, ધ સ્ટૈટમેન, ઈન્ડિયન એક્સપ્રેસ સાથે પણ લાંબો સમય જોડાયેલા રહ્યા હતા. તે 25 વર્ષ સુધી ‘ધ લંડન ટાઈમ્સ’ના પત્રકાર તરીકે કામગીરી કરી રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, પત્રકારિતાની દુનિયામાં કુલદીપ નૈયરને પત્રકારત્વનો એવોર્ડ પણ મળ્યો છે. 23, નવેમ્બર 1915માં કુલદીપ નાયરને પત્રકારિતામાં આજીવન ઉપલબ્ધિ માટે રામનાથ ગોયન્કા સ્મૃતિ એવોર્ડથી પણ સન્માનિત કરવામા આવ્યા હતા. કુલદીપ નૈયર ઓગષ્ટ, 1997માં રાજ્યસભાના સભ્ય પણ બન્યા હતા.
અત્રે તમને જણાવવું જરૂરી છે કે, શરૂઆતના દિવસોમાં કુલદીપ નાયર ઉર્દુ અખબારના રિપોર્ટર હતા. તે દિલ્હીના સમાચાર પત્ર ધ સ્ટેટ્સમેનના સંપાદક પણ રહી ચૂક્યા હતા, અને દેશમાં લાગુ કરાયેલી ઈમરજન્સીના સમયે તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. તે 1996માં સંયુક્ત રાષ્ટ્ર માટે ભારતના પ્રતિનિધિમંડળના સભ્ય હતા. ૧૯૯૦માં તેમને ગ્રેટ બ્રિટનમાં ઉચ્ચાયુક્ત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
