ગ્વાટેમાલા સિટી: મધ્ય અમેરિકામાં ગ્વાટેમાલાના ફ્યૂગોમાં સૌથી સક્રિય જવાળામુખીઓમાં જેની ગણના થાય છે તેવા ‘વોલ્કન ડે ફૂગો’માં થયેલા વિસ્ફોટ થતાં ઓછામાં ઓછી ૨૫ વ્યક્તિના મોત નીપજ્યાં છે. એક વર્ષમાં આ બીજી વખત વિસ્ફોટ થયો છે. આ જવાળામુખી ફાટવાના કારણે ૩૦૦થી વધુ લોકોને ઈજા પહોંચવાના પણ સમાચાર હોવાની સાથે જ અંદાજે ત્રણ હજાર લોકોને સુરક્ષિત સ્થળો પર લઈ જવામાં આવ્યા છે.

આ ઘટના અંગે અધિકારીઓના કહેવા મુજબ વર્ષ-૧૯૪૭ની પછી ફ્યૂગોમાં આટલો જોરદાર વિસ્ફોટ થયો છે. જ્વાળામુખી ફાટવાની ઘટના બાદ બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે.
રાજધાની ગ્વાટેમાલા સિટીના લા ઓરોરા આંતરરાષ્ટ્રીય હવાઈમથકને બંધ કરી દેવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ જિમી મોરાસેલે ત્રણ શહેરોમાં રેડ એલર્ટ અને સમગ્ર દેશમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે.

જવાળામુખી ફાટવાના કારણે આસપાસના ગામો ઉપર રાખ અને ધૂમાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. ગ્વાટેમાલાના કોનરાડ રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન એજન્સીના મહાસચિવ સર્ગિયો કૈબાનાસે જણાવ્યું હતું કે, જ્વાળામુખીના વિસ્ફોટ પછી લાવાની એક નદી વહી રહી છે. જેના કારણે અલ રોડિયો નામના ગામને અસર થઈ છે. લોકો સળગી રહ્યા છે અને તેમના મોત નીપજી રહ્યા છે. ગ્વાટેમાલા સિટીથી આશરે ૪૪ કિ.મી. દૂર ગઈકાલે જવાળામુખી ફાટવાની ઘટના પછી કેટલાય લોકો લાપત્તા થઈ ગયા છે.
જ્વાળામુખીના વિસ્ફોટ પછી આશરે ૧૨,૩૪૬ ફિટની ઉંચાઈ સુધી રાખ ફેલાઈ ગઈ હતી. હવામાં ફેલાયેલા રાખ અને ધૂમાડાના સામ્રાજ્યના કારણે વિમાનોને થનારા ખતરાને અનુલક્ષીને હવાઈ વિભાગના અધિકારીઓએ રાજધાની ગ્વાટેમાલા સિટીના લા ઓરોરા આંતરરાષ્ટ્રીય હવાઈમથકને બંધ કરી દેવામાં આવ્યું છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ ત્રણ સ્થળો અલ રોડિયો, અલોતેનાંગો અને સૈન મિગુએલમાં સૌથી વધુ લોકો માર્યા ગયા છે.
