ગત આઇપીએલની ચેમ્પિયન ચેન્નાઇ આઇપીએલની 23મી મેચમાં આજે કોલકાતા સામે ટકરાશે અને તેઓનું ફોકસ ધુવાંધાર બેટ્સમેન આંદ્રે રસેલની બેટિંગને અંકુશમાં રાખવાનું રહેશે. સર્વશ્રેષ્ઠ બોલરોથી સજ્જ બન્ને ટીમ વચ્ચેના મુકાબલામાં રસેલ નિર્ણાયક ભૂમિકા નિભાવી શકે છે. બન્ને ટીમ ચાર મેચ જીતી ચૂકી છે અને શાનદાર ફોર્મમાં પણ છે. બન્ને ટીમનું લક્ષ્ય પોઇન્ટ ટેબલ પર સર્વોચ્ચ સ્થાને પહોંચવાનું રહેશે.
મહેન્દ્ર સિંહ ધોનની કેપ્ટન્સી હેઠળની ચેન્નાઇની ટીમે શનિવારે પંજાબને સહેલાઇથી મ્હાત આપી હતી. જો કે દિનેશ કાર્તિકની ટીમ સામે જીતવું કપરું બની રહેશે. કોલકાતાએ રવિવારે રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું.
બન્ને ટીમ પાસે સર્વશ્રેષ્ઠ સ્પિનર છે, તેથી બેટ્સમેનો સતર્કતાથી બેટિંગ કરવી પડશે. ચેન્નાઇ પાસે હરભજન સિંહ, ઇમરાન તાહિર, રવિન્દ્ર જાડેજા છે જેમણે પંજાબ વિરુદ્વ જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. જ્યારે કોલકાતા પાસે કુલદીપ યાદવ, સુનીલ નરેન અને પીયુષ ચાવલા જેવા બોલરો છે જેમણે રાજસ્થાનને હરાવવામાં તેની બોલિંગનો પરચો આપ્યો હતો.
હવે જોવાનું એ રહેશે કે ચેપાકની ટર્નિંગ પીચ પર કઇ ટીમના સ્પિનર પોતાના કૌશલ્યને દર્શાવી શકે છે. બેટ્સમેનો સ્પિન બોલિંગ સામે કઇ રીતે ઝઝુમે છે તે જોવું મહત્વનું બની રહેશે. ધોની સેના માટે શાનદાર ફોર્મમાં રમી રહેલા રસેલની આક્રમક બેટિંગને કાબુમાં રાખવાનો પડકાર રહેશે.
રસેલ આ સીઝનમાં શાનદાર ફોર્મમાં નજર આવી રહ્યા છે. બીજી તરફ ચેન્નાઇએ ડ્વેન બ્રાવોની જગ્યાએ ગત મેચમાં ફાફ ડુ પ્લેસિસને ઉતાર્યો હતો અને પ્લેસિસે 38 બોલમાં 54 રન બનાવ્યા હતા. ધોનીએ અંતિમ ઓવરમાં પોતાની ભૂમિકા નોંધપાત્ર રીતે નિભાવી હતી. આજના મેચમાં પણ કેપ્ટલ કુલ તેની કાબેલિયતનો પરચો આપીને ટીમને જીતાડશે તેવી ક્રિકેટના ચાહકોમાં આશા જોવા મળી રહી છે.
