જેતપુરના જેતલસર ગામે બાવાજી પરીવારના ઘરના મોભી, માતા-પિતા અને પુત્ર એમ ચાર સભ્યોનું માત્ર ત્રણ દિવસના અંતરમાં કોરોનામાં મોત થતા ઘરનો આખો માળો વેરવિખેર થઈ ગયો હતો. પાંચ સભ્યોના પરિવારમાં બાકી રહેલ મહિલા સભ્ય પણ સારવાર હેઠળ છે.
જેતલસર ગામે રહેતા રાજેશભાઇ પરસોત્તમભાઈ અગ્રાવત ઉવ ૪૯ ને ચારેક દિવસ પૂર્વે તબીયત નરમ લાગતા તેઓએ જેતલસર આરોગ્ય કેન્દ્ર ખાતે પોતાનો અને પુત્રનો આર ટી પી સી રિપોર્ટ કરાવતા બંનેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમ છતાંય તબીયત ખરાબ હોવાથી ઘરે દવા ચાલુ રાખી હતી. તેમાં ચાર દિવસ પહેલા રાજેશભાઈની તબીયત બગડતા તેઓને સારવાર માટે જૂનાગઢ સરકારી હોસ્પીટલ ખાતે લઈ જવાયા હતા ત્યાં માત્ર ત્રણથી ચાર કલાકની વેન્ટીલેટર પર સારવારલીધા બાદ હોસ્પીટલ તંત્રએ તેમને મૃત જાહેર કર્યા હતા.
બીજીતરફ ઘરના બીજા સભ્યોની તબીયત પણ બગડતી જતી હોવાથી રાજેશભાઇની પુત્રી પોરબંદર સાસરે છે. તેણીએ, દાદી, માતા અને ભાઈ ને પોરબંદર લઈ જઈ ત્યાં (હોમ આઇસોલોટ) ઘરે સારવાર ચાલુ કરી હતી. તેમાં ૨૧ તારીખના રોજ ઓમની તબીયત લથડતા તેને તરત જ હોસ્પીટલે લઈ જતા ત્યાં થોડીવારની સારવાર બાદ તેનું પણ મોત થતા બાકીના પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. પુત્ર અને પૌત્રના એકાએક મોતથી ભાંગી પડેલ પરસોતમભાઈ અને મંગળાબેન પણ ગતરોજ તબીયત લથડતાં સ્વર્ગે સિધાવ્યા હતા. અગ્રાવત પરિવારને ત્યાં યમરાજે ધામાં નાખ્યાં હોય તેમ મંગળાબેનની તબીયત લથડી અને હજુ સારવાર મળે તે પેલા જ તેમનું પ્રાણપંખેરૂ ઉડી ગયું અને ત્યાર બાદ દોઢ કલાકના અંતરમાં જ પરસોત્તમભાઈનું પણ મોત થતાં કોરોનાએ અગ્રાવત પરીવારનો આખો માળો વિખી નાખ્યો હતો. સાસુ સસરા,પતિ અને પુત્રના મોતથી ભાંગી પડેલ રમાબેન પણ હાલ સારવાર હેઠળ છે.