- ૨૦૧૪થી ૨૦૨૧ સુધી વિવાદી વિધાનો કરવાની આદતની વાત
- રાજકારણીઓની વિરોધીઓની સાચી વાતને પણ વખોડવાની આદત
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
રાજકારણીઓ હંમેશાં પોતે કરે તે સાચું અને બીજા નિષ્ણાત વ્યક્તિ સલાહ આપે તો પણ તેમની સલાહનું ઉંધુ અર્થઘટન કરીને અથવા તો આ સાચી સલાહ હોય તો પણ તમારા અનુયાયીને કહો કે તેનું પાલન કરે તેવું કહેતા હોય છે. તાજેતરમાં ભારતના પૂર્વ વડાપ્રધાન અને વિશ્વના પ્રસિદ્ધ અર્થશાસ્ત્રીઓમાં જેની ગણના થાય છે તે ડૉ. મનમોહનસિંહે કોરોના સંકટમાંથી બચવા માટે પાંચ ઉપયોગી સૂચના કર્યા. ડૉ. મનમોહનસિંહે વિપક્ષના એક મોભી અને પૂર્વ શાસક તરીકેના અનુભવના આધારે આ વણમાગી સલાહ કે સૂચનો કર્યા હતા. તેમાં વેક્સીનેશન સહિતની તમામ બાબતોને આવરી લેવાઈ હતી. દેશના અર્થતંત્રને બહુ અસર ન થાય અને સાથોસાથ લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે બાબત ધ્યાનમાં રાખવાની સલાહ પણ હતી. આ સલાહના અહેવાલો દેશના મોટાભાગના અખબારોના પ્રથમ પાના પર પ્રસિદ્ધ થયા હતા. ટીવી ચેનલો પર ચર્ચાનો વિષય પણ બન્યા હતા. ચર્ચાઓ પણ થઈ હતી. બીનરાજકીય અને નિષ્ણાત વિવેચકોએ પણ ડૉ. મનમોહનસિંહે કરેલા આ સૂચનોને બિરદાવ્યા હતા.
પરંતુ કેન્દ્રના આરોગ્ય મંત્રી અને દિલ્હીના મુખ્યમંત્રી બનવાની જેમની ઈચ્છા અધૂરી રહી ગઈ છે તે ડૉ. હર્ષવર્ધને આ અંગે પ્રતિભાવ આપ્યો અને કહ્યું કે ડૉ. મનમોહનસિંહે આ સૂચનોનો પોતાના શાસનવાળા રાજ્યોમાં અમલ કરાવવો જોઈએ. આના અનુસંધાનમાં બીજી ઘણી વાતો કરી હતી. ડૉ. મનમોહનસિંહ કે કોંગ્રેસના કોઈ પ્રવક્તાએ ડૉ. હર્ષવર્ધનની આ ટીકાને લક્ષમાં લીધી નથી કે કોઈ વિધાનો પણ કર્યા નથી. પરંતુ કેટલાક વિવેચકો અને સોશિયલ મીડિયામાં કેટલાક જાણકારોએ ટ્વીટ કરીને ડૉ. હર્ષવર્ધનની બરાબર ફીરકી ઉતારી છે. એક વિવેચકે તો ત્યાં સુધી કહ્યું કે ૨૦૦૮ની વિશ્વવ્યાપી ભયાનક મંદી વચ્ચે ભારત તે વખતે બચી ગયું હતું તેનું કારણ ડૉ. મનમોહનસિંહ અને તેમની નીતિ હતી. એક વિવેચકે તો ત્યાં સુધી કહ્યું કે ડૉ. સિંહની નીતિઓ અને કાર્યક્રમોનો નામ બદલાવીને પણ અમલ કરવો પડે છે.
જ્યારે પશ્ચિમ બંગાળમાં યોજાતી રેલીઓ અંગે જ્યારે વિશ્લેષકોએ ટીકા કરી વિપક્ષો પણ તેમાં અધકચરો સૂર પૂરાવ્યો ત્યારે કેન્દ્રના બહુ બોલકા અને હોશિયાર ગણાતા અને જેમણે રેલ ખાતાનો હવાલો સંભાળતી વખતે કેટલાક સારા નિર્ણયો પણ લીધા છે તે પિયૂષ ગોહેલે પણ આ સોશિયલ ડિસ્ટન્સના ભંગ સહિતની બાબતો અંગે આકરી ટીકા કરી ત્યારે પણ સોશિયલ મિડિયામાં વિવેચકોએ તેની આકરી ટીકા થઈ હતી અને પ્રાપ્ય અહેવાલો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ બન્ને મહાનુભાવોને વધારે બોલવાથી દૂર રહેવાની સલાહ આપી હતી.
કોંગ્રેસના યુવરાજ ગણાતા અને પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ દક્ષિણના રાજ્યોમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો ત્યારે ઉત્તર ભારત વિષે ટીકા કરતાં વિધાનો કર્યા હતા. ત્યારે તેમના પર ભાજપના ઉત્તર ભારતમાંથી ચૂંટાયેલા નેતાઓ રીતસરના તૂટી પડ્યા હતા. જો કે, રાહુલ ગાંધીએ તો ભૂતકાળમાં અનેક વખત આવો બફાટ કરેલો જ છે અને આ બફાટના કારણે જ કોંગ્રેસને ઘણા કિસ્સામાં સહન કરવું પડ્યું છે. ૨૦૦૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે આણંદની જાહેર સભામાં મોદી માટે મોતના સોદાગર શબ્દ કોંગ્રેસને સત્તાથી દૂર રાખનારો પૂરવાર થયો હતો. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે કોંગ્રેસના નેતા મણીશંકર ઐય્યરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ‘ચા વાળો’ શબ્દ વાપર્યો અને મોદીએ તેનો વ્યાપક પ્રચાર કર્યો તેના કારણે ભાજપ પ્રથમ વખત સત્તા પર આવ્યું અને કોંગ્રેસને લોકસભામાં મુખ્ય વિરોધ પક્ષ તરીકે પણ સ્થાન ન મળે તેટલી બેઠકો મળી.
૨૦૧૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે મણીશંકર ઐય્યરે વડાપ્રધાન મોદી માટે ઉપયોગ કરેલો ‘નીચ’ શબ્દ પણ કોંગ્રેસને અનુકૂળ વાતાવરણમાં સત્તાથી વંચિત રાખનારો પૂરવાર થયો હતો. ભલે કોઈ માને કે ન માને અથવા તો આસામમાં ચૂંટણી પ્રચારના પ્રારંભિક તબક્કામાં ચાના બગીચામાં કામ કરતાં શ્રમિકોની હાલતનો ઉલ્લેખ કરતી વખતે પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચાના વેપારીઓ અને તેમાંય ખાસ કરીને ગુજરાતી વેપારીઓ તેવા ઉલ્લેખ સાથે કરેલા વિધાનોનો ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી વખતે રાજ્યના ભાજપના પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી સહિત તમામ સ્ટાર પ્રચારકોએ તેને ગુજરાત અને ગુજરાતીઓના અપમાન તરીકે ગણાવી ઉલ્લેખ કર્યો હતો. વિશ્લેષકોએ ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસના સાવ ધબકડા અંગે સમીક્ષા કરતી વખતે કોંગ્રેસના રકાસનું એક મહત્ત્વનું કારણ પણ ગણાવે છે. ૨૦૧૭માં બેઠી થયેલી કોંગ્રેસને કોંગ્રેસી નેતાઓના આવા વિધાનો અને યોગ્ય રણનીતિના અભાવે કોંગ્રેસને ગુજરાતમાં ‘વેન્ટીલેટર’ પર મૂકી દીધી છે તે હવે વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ પણ સ્વીકારતા થઈ ગયા છે.
રાજકારણીઓને પછી ભલે તે કોંગ્રેસના હોય કે ભાજપના હોય પછી ગમે તે પક્ષના હોય પરંતુ તેઓ પોતે ક્યારેય પોતાની જવાબદારી સ્વીકારવા તૈયાર હોતા નથી અને પોતાની નિષ્ફળતાનો ટોપલો વિપક્ષ પર ઢોળતા જરાય અચકાતા નથી. ટીવી પર કોઈપણ પ્રશ્નની ચર્ચા ચાલતી હોય ત્યારે ભાજપ કોંગ્રેસ પર પ્રહારો કરે, કોંગ્રેસ ભાજપ પર આક્ષેપબાજી કરે છે પણ પ્રજાની પીડાનો – વેદનાનો કોઈ રીતે અંત લાવવાનો કોઈ પ્રયાસ કરતા નથી.