Banaskatha News : બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ફતેપુર ગામના રહેવાસીઓ છેલ્લા 25 વર્ષથી ગામને જોડતા રસ્તો બનાવવાની માંગ કરી રહ્યા છે. ફતેપુરથી સેમોદ્રા અને ફતેપુરથી કમાલપુરાને જોડતા આ કાચા રસ્તાના કારણે સ્થાનિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
પાલનપુર તાલુકાના ફતેપુરાના સ્થાનિકોનું કહેવું છે કે, હાલ પરિસ્થિતિ એવી છે કે ફતેપુર ગામ થી અંબાજી જવું હોય તો વડગામ થઈને જવું પડતું હોય છે જેમાં ચારથી પાંચ કિલોમીટરનું અંતર વધી જાય છે જો ફતેપુર અને સેમોદ્રા વચ્ચેનો રોડ બનાવવામાં આવે તો આ અંતર ઘટી જાય છે અને લોકોને મોટી રાહત મળી શકે તેમ છે. આ રસ્તા બનવાથી તેમને અમદાવાદ જવા માટેનું અંતર ઘટી જશે અને સસ્તા અનાજની દુકાન સુધી પહોંચવામાં પણ સરળતા રહેશે. તેમણે અનેક વખત સરકાર અને સ્થાનિક ધારાસભ્યોને રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ કામગીરી શરૂ થઈ નથી.

બનાસકાંઠા જિલ્લામાં સરકાર દ્વારા અનેક વિસ્તારોમાં નવા રસ્તા બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે ફતેપુર ગામના રહેવાસીઓને પણ તેમના હક્કનો રસ્તો મળે તેવી માંગ કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ રસ્તા બનવાથી તેમને અનેક સુવિધાઓ મળશે અને તેમનું જીવન સરળ બનશે. તેઓ સરકાર પાસેથી ઝડપથી આ કામગીરી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: બનાસકાંઠામાં દારૂના જથ્થા સાથે 14.87 લાખનો મુદ્દામાલ કબજે
