મુંબઇ,
જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ અને તેમના પત્નિ અનિતા ગોયલે કંપનીના બોર્ડના સભ્યપદેથી રાજીનામુ આપી દીધું છે.1993માં નરેશ અને અનિતાએ જેટ એરવેઝ શરૂ કરી હતી અને નરેશ ગોયલ જેટ એરવેઝના ટોચના પ્રમોટર્સમાંના એક હતા.
નરેશ ગોયેલે અગાઉ પણ રાજીનામું આપવાની વાત કહી હતી. તેઓએ કટોકટી વચ્ચે કર્મચારીઓને લાગણીશીલ પત્ર પણ લખ્યો હતો. પત્રમાં નરેશે જણાવ્યું હતુ કે તેઓ કોઈપણ બલિદાન માટે તૈયાર છે.
જેટ એરવેઝે સેબીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે સ્ટેટ બેંકના નેતૃત્વમાં કંપનીના બીજા ફાઇનાન્સરો 1,500 કરોડ રૂપિયા કંપનીમાં રોકાણ કરશે.જેટ એરવેઝના ફાઇનાન્સરોએ કંપનીનું નિયંત્રણ પોતાના હાથમાં લીધું છે અને 1.14 કરોડ રૂપિયાના શેર બહાર પાડવામાં આવશે.
હાલમાં, જેટ એરવેઝ પર કુલ 26 બેંકોનું દેવું છે. તેમાં કેટલીક ખાનગી અને વિદેશી બેંકો પણ સામેલ છે. જાહેર ક્ષેત્રની બેંકોમાં કેનેરા બેન્ક, બેંક ઓફ ઇન્ડિયા, સિંડિકેટ બેન્ક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, અલ્હાબાદ બેંકનો સમાવેશ થાય છે. હવે આ સૂચિમાં એસબીઆઈ અને પી.એન.બી. નું નામ ઉમેરવામાં આવશે. એરલાઇન્સ પર આશરે 8 હજાર કરોડની લોન છે. જેટના પાઇલોટ્સ પહેલાથી જ અલ્ટીમેટમ આપી ચૂક્યા છે કે 31 માર્ચ સુધી તેમના પગારની ચૂકવણી કરવામાં નહી આવે તો તેઓ કોઈ ફ્લાઇટ ઉપડવા દેશે નહીં.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, એસબીઆઈના મેનેડજિંગ ડિરેક્ટર અને જેટ એરવેઝના ભૂતપૂર્વ બોર્ડ સભ્ય શ્રીનિવાસન વિશ્વનાથનને એરલાઈન્સના ટોચના નેતૃત્વ સંભાળવા માટે આમંત્રણ આપી શકે છે. વિશ્વનાથન જેટના બોર્ડમાં ઓગસ્ટ 2018 પહેલા ત્રણ વર્ષથી સ્વતંત્ર ડિરેક્ટરના પદે રહી ચૂક્યા છે.
