નવી દિલ્હી,
તાજેતરમાં જ યોજાયેલી દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભાજપનો કારમો પરાજય થયો છે, ત્યારે હવે આ હારની અસર કેટલાક કાર્યક્રમો પર પણ પડી રહી છે.
હકીકતમાં, હરિયાણાના કુરુક્ષેત્રમાં ગુરુવારથી શરુ થઇ રહેલા ગીતા મહોસ્તવના કાર્યક્રમનો પ્રારંભ કરવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવવાના હતા, પરંતુ મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, મિઝોરમ અને છત્તીસગઢમાં મળેલી હાર બાદ હવે તેઓએ પોતાનો પ્રવાસ રદ્દ કરી દીધો છે.
ભાજપના ચાણક્ય લાગ્યા મનોમંથનમાં

હરિયાણાનો પ્રવાસ રદ્દ કર્યા બાદ હવે અમિત શાહ રાજધાની દિલ્હી સ્થિત પાર્ટીના હેડક્વાર્ટર ખાતે ૫ રાજ્યોમાં મળેલી હાર અને આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ પર મંથન માટે એક બેઠક બોલાવી છે.
આ મિટિંગમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તેમજ પ્રભારીઓ પણ શામેલ થશે.
આ પહેલા સંસદ ભવનમાં ભાજપના સંસદીય દળની બેઠક પણ થઇ હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીયમંત્રીઓ તેમજ ભાજપના સાંસદો પણ હાજર રહ્યા હતા.
શા માટે આયોજિત કરાય છે આ કાર્યક્રમ

૬ દિવસ સુધી ચાલનારા ગીતા મહોસ્તવમાં મોરિશિયસમ રાષ્ટ્રપતિનો આવવાનો કાર્યક્રમ છે. આ ઉપરાંત કાર્યક્રમના અંતિમ દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જી પણ શામેલ થવાના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં કુરુક્ષેત્રની ધરતી પર જ મહાભારતનું યુદ્ધ થયું હતું. આ કારણથી જ સરકાર દ્વારા ગીતા મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
