નવી દિલ્હી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસના સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યુ હતું. સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજ કેલીફોર્નિયામાં યોજાયુ હતું. જેમાં વીડિયો કોન્ફરન્સ મારફતે વડાપ્રધાન મોદીએ ભારતીય સમાજ, ક્લાઈમેન્ટ ચેન્જ, ટુરીઝમ, ભારતના અર્થતંત્ર અંગે વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ હતું કે, ભારતના નાગરીકો જેમનો જન્મ ભારતમાં થયો અને સંસ્કાર ભારતમાં થયા છે તેઓ વિશ્વમાં જ્યાં જ્યાં ગયા તેમણે ભારતની સુવાસ ફેલાવવામાં મોટુ યોગદાન આપ્યુ છે.
તેમણે ભારતના વૈભવ વારસાને જાળવવાનો પ્રયત્ન કર્યો છે. જેઓ વર્ષોથી વિદેશમાં રહે છે તેવા અનેક ભારતીયોની દુનિયાભરમાં જે છબી બની છે તેના કારણે દુનિયાને ભારતને સમજવાનુ બહુ સહેલુ બન્યુ છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, ભારત વિશે જુઠ્ઠાણાં ચાલતા હોય છે તેમાં પણ જે ત્યાં રહેલા ભારતીયોને ઓળખતુ હોય તેને પહેલો વિચાર આવે કે આ ભાઈ તો બહુ સારા માણસ છે.
આપણી આજુબાજુ રહેલા લોકો ભારતને બદનામ કરવાના પ્રયત્નો કર્યા કરતા હોય છે. આવા લોકો દશકોથી આપણને બરબાદ કરવાનુ કામ કરે છે, પહેલા એવુ હતું કે આખુ વિશ્વ તેમની સાથે અને થોડા જ આપણી સાથે હતા પરંતુ આજે આખુ વિશ્વ આપણી સાથે છે અને તેમની સામે છે. આતંકવાદ સામે આખુ વિશ્વ ભારતની વાત સ્વીકારવા લાગ્યુ છે.
આ બધાના મૂળમાં આખી દુનિયામાં પહોંચેલા ભારતીય સમાજના સ્વભાવને, વિચારનુ બધાની વચ્ચે ભળી જવાનો સ્વભાવથી દુનિયાને એવુ લાગે છે કે ભારતીયો જે અમારા દેશમાં કોઈને કોઈ યોગદાન કરે છે તેમનાથી કોઈ સમસ્યા નથી થતી. ભારતીય પાસપોર્ટ અંગે વાત કરતા તેમણે જણાવ્યુ કે, ભારતના પાસપોર્ટની જે તાકાત પહેલા હતી તેના કરતા આજે વધી છે. દુનિયામાં હવે ગમે ત્યાં જતા હશો તો હવે ઈમિગ્રેશનના માણસ ભારતીયોનો પાસપોર્ટ જાઈને તેમની આંખમાં ચમક આવી જતી હોય છે.