ગાઝા શહેરને સ્મશાનગૃહમાં ફેરવ્યા બાદ રફાહ તરફ આગળ વધી ગયેલી ઈઝરાયેલી સેનાએ હાલમાં મોટા હુમલાની યોજના મોકૂફ રાખી છે. મીડિયા અહેવાલ મુજબ બેન્જામિન નેતન્યાહુએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો છે. ઈઝરાયેલનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે એક દિવસ પહેલા ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું અને ઈઝરાયેલ પર રાયસીની હત્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. એવા અહેવાલો છે કે અમેરિકાએ ઈઝરાયેલને સાવધાનીથી કામ લેવાની સલાહ આપી છે.
ઈઝરાયેલના એક અખબારમાં છપાયેલા સમાચાર અનુસાર, મામલાની જાણકારી ધરાવતા અધિકારીઓ સાથેની વાતચીતના આધારે, ધ વોશિંગ્ટન પોસ્ટે કહ્યું છે કે ઈઝરાયેલે રફાહમાં તેની સેનાના બે વિભાગ મોકલવાની અગાઉની યોજનાને રોકી દીધી છે. રફાહ પર મોટા હુમલાને બદલે, ઇઝરાયેલી સેના રફાહ પર છૂટાછવાયા હુમલાઓ ચાલુ રાખવા માટે સંમત છે.
નેતન્યાહુ શા માટે કરી રહ્યા પીછેહઠ
યુએસ અધિકારીઓ માને છે કે ઇઝરાયેલની નવી યોજના રફાહમાં ઓછી નાગરિક જાનહાનિમાં પરિણમશે. પરંતુ, ઈઝરાયેલે પુનરોચ્ચાર કર્યો છે કે તે હમાસના ઠેકાણા શોધવામાં કોઈ કસર છોડશે નહીં. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોથી નેતન્યાહૂ એ વાત પર જોર આપી રહ્યા છે કે ગાઝા બાદ તેમનું આગામી પગલું રફા પર પૂરી તાકાતથી હુમલો કરવાનું રહેશે. ઈઝરાયેલનું માનવું છે કે ગાઝા પછી રફાહ જ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં હમાસના ઠેકાણાઓ બચ્યા છે. આ સિવાય IDFને શંકા છે કે હમાસે તેના બંધકોને રફાહમાં છુપાવીને રાખ્યા છે.
આ અઠવાડિયે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન સાઉદી અને ઇઝરાયેલના અધિકારીઓ સાથે મુલાકાત કર્યા બાદ વ્હાઇટ હાઉસે સંકેત આપ્યો હતો કે ઇઝરાયેલ હમાસ સામેના યુદ્ધમાં તેના અભિયાનને ધીમો કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલના સંરક્ષણ અધિકારીઓએ પણ આ વાત પર સહમતિ દર્શાવી છે કે આ સમયે રફાહ પર મોટો હુમલો તેના માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.
ગાઝાના નરસંહારમાંથી બોધપાઠ:
આ રિપોર્ટ ઈઝરાયેલી આર્મીના અંદાજ પછી આવ્યો છે જેમાં IDF એ દાવો કર્યો છે કે અંદાજે 950,000 પેલેસ્ટિનિયનોએ રફાહ વિસ્તાર ખાલી કરી દીધો છે. IDF અધિકારીઓનું કહેવું છે કે તેઓ ગાઝામાં થયેલા સામૂહિક જાનહાનિમાંથી શીખીને હમણાં માટે રફાહ પર આવી કાર્યવાહી કરવાનું ટાળી રહ્યા છે. આ દરમિયાન એવા પણ સમાચાર છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની વાતચીત ચાલી રહી છે. હમાસે સંકેત આપ્યો છે કે તે યુદ્ધવિરામ અને બંધક કરારને “સ્વીકાર” કરી શકે છે.
આ પણ વાંચો: નડિયાદમાં મોબાઇલ જુગારધામનો પોલીસે કર્યો પર્દાફાશઃ 42 જુગારીઓની ધરપકડ
આ પણ વાંચો: અમદાવાદ રિવરફ્રન્ટ પર બોટિંગ હજી બંધ, પોલીસની NOC આપવામાં ઢીલી કામગીરી
આ પણ વાંચો:અમદાવાદ-વડોદરામાં ઇન્કમટેક્સ રેડમાં 200 કરોડથી વધુ બેનામી વ્યવહારો મળ્યા
