@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
એન.સી.પી.ના સુપ્રિમો અને દેશના કદાવર અને ચાણક્ય નેતા તરીકે જેની ગણના થાય છે અને જેમનું વ્યક્તિત્વ હંમેશા અકળ હોય છે અને ઓછું બોલીને પણ વધુ દાવ લેવાની જેમની ક્ષમતા છે તે શરદ પવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. તેમની સાથે ૫૦ મિનિટ સુધી ચર્ચા કરી પછી મુંગા મોઢે બહાર નીકળીને પોતાના ઘેર પહોંચી ગયા અને ચોતરફ અટકળોનો દોર શરૂ થઈ ગયો. મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરેની સરકાર કોરોનાના સામનામાં વ્યસ્ત છે. કોંગ્રેસને સખ નથી અને એકલો જાને રે ના ધખારા કરે છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કે જેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીરૂપી દ્રાક્ષ એકવાર ચાખી ગયા છે અને મહારાષ્ટ્રમાં અઘાડીમાં સહેજ પણ સખળ ડખળ થાય એટલે આ પૂર્વ મુખ્યમંત્રીના મોઢામાં પાણી આવી જાય છે. મહારાષ્ટ્ર અઘાડીના બીજા નંબરના ભાગીદાર ગણાતા એન.સી.પી.ના આગેવાન અને પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પરનો કાનૂની ગાળિયો વધુ મજબૂત બની રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સામે પણ ભાજપના કેટલાક આગેવાનોએ આક્ષેપબાજી કરી છે. આ સંજાેગો વચ્ચે શરદ પવાર પહેલા પ્રશાંત કિશોરને બે વાર મળે અને પછી અમૂક રાજકીય વર્તુળો વાત વહેતી મૂકે કે શરદ પવાર રાષ્ટ્ર્રપતિ પદના ઉમેદવાર છે. હવે આ બધા વાતાવરણમાં પવાર અને મોદી વચ્ચે મુલાકાત થાય અને તે પણ ૫૦ મિનિટ જેટલી લાંબી ચાલે ત્યારે ચર્ચાનો દોર ન ચાલે તો બીજું શું થાય ?
આ પણ વિચાર માગે તેવી બાબત તકહી શકાય તેમ છે. એકદિવસમાં અનેક અટકળો થઈ ગઈ. શરદ પવાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવારવાળી વાત તો ચગી જ પણ સાથોસાથ નવી વાત એ પણ બહાર આવી કે પછી મહારાષ્ટ્ર ભાજપના અમુક આગેવાનોએ ચગાવી કે મહારાષ્ટ્રમાં એનસીપીની ભાગીદારી સાથે ભાજપની સરકાર રચાઈ શકે છે. જે રીતે શિવસેનાના સુપ્રિમો અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની મુલાકાત બાદ જે અટકળો શરૂ થઈ તેવી જ અટકળો આમા પણ ચાલી. જાે કે આ વાત પર અત્યારે પૂર્ણવિરામ નહિ પણ અલ્પવિરામ તો અવશ્ય મૂકાયું છે.
જાે કે દિલ્હીમાં જ એન.સી.પી.ના સત્તાવાર પ્રવક્તા નવાબ મલિકે એવી સ્પષ્ટતા કરી કે પવાર અને મોદી વચ્ચેની મુલાકાત દરમિયાન જે ચર્ચા થઈ તેમાં મુખ્ય બાબત સહકારી ક્ષેત્રને લગતી હતી. વડાપ્રધાને તાજેતરમાં કેબિનેટમાં ફેરફાર કરતી વખતે જે ‘સહકારિતા’ સહકાર નામના નવા મંત્રાલયની રચના કરી અને તેનો હવાલો પણ ગૃહમંત્રી અમિત શાહને સોંપ્યો. શરદ પવાર પણ જના સહકારી આગેવાન છે અને મહારાષ્ટ્રના સહકારી ક્ષેત્ર પર તેમની જાેરદાર પકડ છે – વર્ચસ્વ છે. તેમણે મોદી સરકારના આ પગલાં સામે વાંધો ઉઠાવ્યો છે. વિરોધ કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સહકારી ક્ષેત્ર એ રાજ્ય સરકાર હસ્તક આવે છે અને તેને કેન્દ્ર સરકાર હસ્તક લાવવાની વાત રાજ્યોના અધિકાર પર તરાપ મારવા જેવી બાબત છે. નવાબ મલિકે કહ્યું છે શરદ પવારે તો વડાપ્રધાનને સ્પષ્ટ શબ્દોમાં કહી પણ દીધું છે કે આ હિલચાલ કઈપણ રીતે યોગ્ય નથી. વ્યાજબી નથી. સહકારી ક્ષેત્રનો ઉપયોગ રાજકીય બદલો લેવા કરવા માટે જ ગૃહમંત્રીને આ હવાલો સોંપાયો છે. મલિકના જણાવ્યા પ્રમાણે પવારે મોદી સરકારને એવી ચેતવણી પણ આપી છે કે જરૂર પડે આ મુદ્દે આંદોલન પણ થશે.
શરદ પવારની મુલાકાત બાબત તમામ અખબારોએ પોતાની રીતે અટકળો બાંધી અહેવાલો છાપ્યા છે. શરદ પવાર મમતા બેનરજી વિગેરે પ્રશાંત કિશોરના સૂચના પ્રમાણે વિપક્ષી એકતા માટેનો તખ્તો તૈયાર કરી રહ્યા છે. યુ.પી.ની ચૂંટણીમાં અને ત્યારબાદ રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે પણ પોતાની તાકાત બતાવવા માટે તલપાપડ છે તેવે સમયે આ મુલાકાત ઘણું કહી જાય છે. જાે કે રાષ્ટ્રપતિપદ બાબતમાં શરદ પવાર સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે તેમને રાષ્ટ્રપતિ બનવામાં જરાય રસ નથી. જાે કે એક વાત છે કે પવારને વડાપ્રધાન બનવાનું શમણું છે જે પુરૂ થયું નથી. બાકી તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીપદ અને કેન્દ્રમાં કૃષિ મંત્રાલય સહિત મહત્ત્વના ખાતાઓ સુપેરે સંભાળી ચૂક્યા છે.
શરદ પવાર ગમે તેને પણ મળે ત્યારે અટકળો એટલા માટે શરૂ થાય કે તેમનું વલણ અકળ હોય છે. તેઓ ૧૯૭૦ના દાયકામાં પોતાના ગુરૂ એવા વસંતદાદા પાટીલને છેહ આપી કોંગ્રેસ વિરોધી પાર્ટીઓની ભાગીદારી સાથે મુખ્યમંત્રી બની ચૂક્યા છે. લાંબો વખત બીનકોંગ્રેસી પક્ષો સાથે રહ્યા બાદ રાજીવ ગાંધીના સમયગાળા દરમિયાન ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા એટલું જ નહિ પરંતુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ ફરી બન્યા હતા અને કેન્દ્રના રાજકારણ સુધી પહોંચી ગયા હતા. પરંતુ ૧૯૯૧માં સ્વ. રાજીવ ગાંધીની હત્યા બાદ રાજકારણથી લગભગ અલિપ્ત થઈ ગયેલા શ્રીમતિ સોનિયા ગાંધી ૧૯૯૮માં ફરી સક્રિય બન્યા એટલે શરદ પવાર, પી.એ. સંગમા, તારીક અન્વર જેવા નેતાઓએ વિદેશી કૂળના મામલે અલગ પાર્ટી રચી જૂદો મોરચો માંડ્યો ત્યારે ૨૦૦૪માં કોંગ્રેસના ગઠબંધન યુપીએ-૧માં શરદ પરવારનો પક્ષ જાેડાયો. અત્યારે પણ કેટલીક અપવાદરૂપ ચૂંટણીને બાદ કરતાં કોંગ્રેસ અને એનસીપી સાથે જ લડે છે. મહારાષ્ટ્રમાં તો કોંગ્રેસ એન.સી.પી. ગઠબંધને લાંબા સમય સુધી સત્તા પણ ભોગવી છે. અત્યારે મહારાષ્ટ્ર અઘાડીમાં પણ શીવસેના કોંગ્રેસ અને એનસીપી સાથે જ છે. ૨૦૧૯માં યોજાયેલી ચૂંટણીમાં શીવસેના અને ભાજપ અલગ પડ્યા તેમ કોંગ્રેસ અને એન.સી.પી. પણ અલગ પડ્યા અને પોતાની તાકાતથી ચૂંટણી લડ્યા. કોંગ્રેસ કરતાં વધુ બેઠકો લડીને પવારે પોતાની તાકાત દેખાડી. મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદ ભોગે છે. તેા મુખ્ય રણનીતિકાર તો શરદ પવાર જ છે. કોંગ્રેસ અને શીવસેનાને એક સાથે બેસાડવામાં મહત્ત્વની ભૂમિકા છે.
શરદ પવાર બે વર્ષ પહેલા વડાપ્રધાન મોદીને મળ્યા હતા ત્યારે પણ કેન્દ્રમાં સત્તાની ભાગીદારી કરશે તેવી અટકળો શરૂ થઈ હતી. પરંતુ હકિકતમાં આવું બન્યું નથી તે હકિકત છે જેની કોઈ ના પાડી શકે તેમ નથી. શરદ પવારના પ્રવક્તાએ ભલે સ્પષ્ટતા કરી હોય પણ આ વ્યક્તિત્વ એટલું ગહન છે કે તેને સમજવામાં ભલભલા રાજકીય વિશ્લેષકો પણ ગોથા ખાઈ જાય છે. ગમે તે હોય પણ જાે શરદ પવાર વડાપ્રધાન મોદીની જાળમાં ફસાઈ જાય તો મહારાષ્ટ્ર અને દેશના રાજકારણમાં નવા સમીકરણો મંડાઈ જાય. માનો કે રાષ્ટ્રપતિ બને તો પણ મોદીના કહ્યાગરા તો ન જ બને અને તે કેન્દ્રને બંધારણના નિયમો સમજાવી અમૂક નિર્ણયો બદલવાની ફરજ પાડે તે નક્કી છે. જાે કે અત્યારે તો અટકળોનું રાજકારણ ચાલે છે.