વિધાનસભા ચૂંટણી/ ભાજપ-કોંગ્રેસ અને AAP ગુજરાત ચૂંટણીમાં વ્યસ્ત : PM મોદી, રાહુલ અને કેજરીવાલ આવતા અઠવાડિયે આવશે ગુજરાત

ભાજપ-કોંગ્રેસ અને AAP ગુજરાત ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે, PM મોદી, રાહુલ અને કેજરીવાલ આવતા અઠવાડિયે મુલાકાત લેશે, આ રહી ત્રણેય નેતા નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમની ઝલક 

Top Stories Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીમાં પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા માટે પીએમ મોદી પોતે આવતા અઠવાડિયે ગુજરાતની મુલાકાતે આવી શકે છે. એટલું જ નહીં, પીએમ મોદી ઉપરાંત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાત લઈ શકે છે. ગુજરાતમાં આ વર્ષે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે.

PM મોદી રાજકોટ અને ગાંધીનગર જશે!

રાજ્ય સરકારના મુખ્ય સૂત્રોના જણાવ્યા અનુસાર PM નરેન્દ્ર મોદી 12 કે 13 મેના રોજ રાજકોટ અને ગાંધીનગરમાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. એટલું જ નહીં પીએમ મોદી ગાંધીનગરમાં રાજ્ય સરકારના એક કાર્યક્રમની અધ્યક્ષતા પણ કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે ગુજરાત સરકારે પીએમઓને સમારંભ માટે આમંત્રણ મોકલ્યું હતું અને પીએમ મોદીને 12 મેના રોજ ગાંધીનગરમાં સમય આપવા વિનંતી કરી હતી. આ જ દિવસે પાટીદાર જૂથે પીએમ મોદીને રાજકોટમાં એક કાર્યક્રમ માટે આમંત્રણ પણ મોકલ્યું હતું. જો કે પીએમઓએ સમારંભ અને કાર્યક્રમ માટે વધુ માહિતી માંગી છે.

સૂત્રએ જણાવ્યું છે કે જો PMO દ્વારા PM મોદીની ગુજરાત મુલાકાત માટે બે દિવસનો સમય આપવામાં આવે તો રાજ્ય સરકાર અન્ય કાર્યક્રમોનું આયોજન પણ કરશે. એવી શક્યતા છે કે પીએમ મોદી કચ્છમાં નર્મદા કેનાલના કામ, સ્મૃતિ વન પ્રોજેક્ટ અને અન્ય પ્રોજેક્ટના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપે.

કોંગ્રેસ આદિવાસીઓને લલચાવશે!

કોંગ્રેસે 10 મેના રોજ દાહોદમાં મોટી આદિવાસી રેલીનું આયોજન કર્યું છે, જેને રાહુલ ગાંધી પોતે સંબોધિત કરશે. આ રેલીને ‘આદિવાસી સત્યાગ્રહ રેલી’ નામ આપવામાં આવ્યું છે. આ રેલીમાં અંબાજીથી ઉમ્બરગાંવ સુધીના સમગ્ર વિસ્તારના આદિવાસીઓ ભાગ લે તેવી અપેક્ષા છે.

કેજરીવાલ રાજકોટમાં રોડ શો અને રેલી કરશે

ઉલ્લેખનીય છે કે, 11 મેના રોજ અરવિંદ કેજરીવાલ રાજકોટમાં રોડ શો અને રેલી કરશે. એક મહિનામાં કેજરીવાલની આ ત્રીજી ગુજરાત મુલાકાત હશે. આ પહેલા કેજરીવાલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે અમદાવાદમાં રોડ શો કર્યો હતો.