- રાજકોટ પોલીસ કમિ. પર આક્ષેપનો મામલો
- ગૃહ વિભાગ દ્વારા DGP(ટ્રેનિંગ)ને તપાસ સોંપાઈ
- તપાસનો રિપોર્ટ DGP આશિષ ભાટિયાને સુપ્રત કરાશે
- ત્રણ દિવસમાં તપાસ પૂર્ણ કરી રિપોર્ટ સોંપાશે
- કમિ. અને ક્રાઇમ બાન્ચ પર છે નાણા વસુલીનો આક્ષેપ
- રાજકોટ ACP ક્રાઇમ સામે થયા હતા સવાલ ઉભા
- એસીપી ક્રાઇમ કમિ. સામે કેમ તપાસ કરી શકે?
- હવે વિકાસ સહાયને તપાસ કરવાના આદેશ઼
રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે આ મામલે ગૃહવિભાગે આ કેસની તપાસ DGP ટ્રેનિગને તપાસ સોંપાઇ છે, વિકાસ સહાય હાલ ટ્રેનિગ DGP છે, આ તપાસ 3 દિવસની અંદર પરિપૂર્ણ કરવાની રહેશે અને તપાસ રિપોર્ટ DGP આશિષ ભાટિયાને સુપ્રત કરવાનો રહેશે, રાજકોટ પોલિસ કમિશનર મનોજ અગ્રવાલ અને એસીપી ક્રાઇમ સામે નાણા વસૂલીનો આરોપ લાગ્યા છે.
રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ મામલે પત્ર લખ્યો છે, જેમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. ગોવિંદ પટેલે પત્રમાં લખ્યું છે કે રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલાં નાણાં ટકાવારીથી વસૂલવાનું પણ કામ કરે છે. તેણે એક કિસ્સામાં 15 કરોડની છેતપિંડીનો ભોગ બનેલા ફરિયાદીની FIR ન ફાડી એની ઉઘરાણીનો હવાલો રાખી જે નાણાંની ઉઘરાણી આવે એમાંથી 15 ટકા હિસ્સો માગી આ રકમ PI મારફત 75 લાખ જેવી ઉઘરાવી હતી. હવે વધુ 30 લાખની ઉઘરાણી માટે PI ફોન કરી રહ્યા છે.
આ અંગે ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે, દોષિતોને કડક સજા થવી જોઈએ, આ સમગ્ર મુદ્દે ગૃહમંત્રી નિર્ણય લેશે. અગાઉ પણ મેં આવી અનેક ફરિયાદો પાર્ટીને કરેલી જ છે. જવાબદાર વ્યક્તિ આવું કરે તો કડક સજા થવી જોઈએ. ક્યાં આધારે તપાસ કરશે કે નહીં કરે તે હવે ગૃહમંત્રીનો વિષય છે. જવાબદાર વ્યક્તિએ આવું કરવું ન જોઈએ એવું હું માનું છું. કાયદેસરના પગલાં લેવાવા જોઈએ. હું એવું માનું છું કે, દોષિત સામે પગલાં લેવા જ જોઈએ.
તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે રાજકોટ શહેર પોલીસ કમિશનરની કામગીરીથી આપને મેં વાકેફ કર્યા છે, તેઓ કોઈ મવાલી-ગુંડા લોકો જે રીતે કોઈની ઉઘરાણી લેણી નીકળતી હોય અને સામેની પાર્ટી પૈસા ન આપતી હોય તેવા સંજોગોમાં પૈસાની ઉઘરાણી કરવાના હવાલા પણ સંભાળી રહ્યા છે, જેના ઘણા કિસ્સાઓ રાજકોટમાં બન્યા છે, પરંતુ એક કિસ્સામાં આપને લેખિત ફરિયાદ રાજકોટના મહેશભાઈ સખિયાએ કરી છે. તેમની સાથે આઠેક માસ પહેલાં આશરે 15 કરોડની છેતરપિંડી થઈ હતી. આ અંગેની FIR નહીં ફાડીને મહેશભાઈ પાસેથી ઉઘરાણીના જે પૈસા આવે એમાંથી 15 ટકા લેખે હિસ્સો માગ્યો હતો.
