આસારામ અને નારાયણ સાંઇ વિશે બહુ બધી ચર્ચાની કોઇ જરુર રહે તેવુ છે નહીં, પોતાની કામાંધ પાપ લીલાઓને કારણે ગુજરાત તો ઠીક છે પણ સર્વત્ર આ કહેવાતા ગુરુઓ પ્રસિદ્ધ છે જે. જો કે, હાલ બનેં જેલમાં બંધ છે અને પોતાનાં કર્મોની સજા ભોગવી રહ્યા છે. પરંતુ કહેવત છે ને પુત્રનાં લક્ષણ પારણામાંથી જ ઓળખાય જાય બસ તેવી જ રીતે અપલક્ષણો પણ ગમે ત્યાં ગમે તેવા સંજોગોમાં હોય ઝળકે જ ઝળકે અને આ નારાયણ સાંઇએ સાબિત પણ કરી દીઘુ હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે.
જી હા, સાધ્વી પર દુષ્કર્મનાં કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા નારાયણ સાંઇ પાસેથી શંકાસ્પદ સ્થિતિમાં મોબાઇલ ફોન મળી આવતાં જેલ સત્તાધીશો તરફથી સચિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મામલા સંદર્ભે બાદમાં નારાયણ સાંઇને બીજી બેરેક ફાળવવામાં આવી હતી, પરંતુ જે બેરેકમાંથી મોબાઇલ ફોન મળ્યો ત્યાંના ચાર કેદી સાથે નારાયણ સાંઇની શંકાસ્પદ રીતે હાજર પણ મળી આવી હતી.

સુરતનાં સચિનમાં આવેલ જેલનાં જેલ સુપરિન્ટેન્ડન્ટ મનોજ નિનામાએ જણાવ્યું કે, બેરેક નંબર – એ/2 – 55માં કેદીઓ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હતા. જેલમાં મોબાઇલ ફોનના ઉપયોગ ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ જેલમાં મોબાઇલ ફોન ઘૂસાડવામાં આવ્યાની વાતને પગલે મંગળવારે વોચ રાખવામાં આવી હતી. બપોરે સાડા ત્રણ વાગ્યા બાદ ઝડતી સ્કવોડ ત્રાટકતાં જ ત્યાં નારાયણ ઉર્ફે નારાયણ સાંઇ આસુમલ હરપલાણી, ઉપરાંત આજીવન કેદની સજા પામેલા ખૂંખાર ગુનેગાર મુસ્તાક અસ્લમ પરમાર, પરેશ ઉર્ફે પાંચા જોગડીયા, તારીક કુત્બુદ્દીન સૈયાદ અને નવીન દલપત ગોહિલ સહિતના પાંચ કેદીઓ મળી આવ્યા હતા.

જેલ સ્કવોડ ઓચિંતી ત્રાટકી ત્યારે આ બધા એક જગ્યા ઉપર ટોળે વળ્યા હતા, પરંતુ પોલીસને જોતાં જ તેઓ હડબડાટમાં આમ તેમ ભાગી ગયા હતા અને તેઓ કશું છુપાવવાની કોશિશ કરી રહ્યા હોય તેવું લાગ્યું. નવીન ગોહિલે કોમન ટોયલેટ તરફ કોઇ વસ્તુ ફેંકી હોવાનો પણ ખ્યાલ સ્ક્વોડને આવ્યો હોઇ જેલ સ્ટાફ દ્વારા આખા બેરેકની ઝડતી લેવાઇ. બિસ્તરથી લઇને તમામ વસ્તુઓ ચેક કરવામાં આવી હતી.
સ્ક્વોડ ચેકીંગ દરમ્યાન બેરેક નંબર 5 અને 66 વચ્ચેનાં કોમન ટોયલેટના દરવાજા પાસે જ એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન બેટરી સાથે હતો. તેની અંદરથી સીમકાર્ડ જો કે, કાઢી લેવામાં આવ્યું હતું. ઉપરનું ઢાંકણું પણ ન હતું. વાત સ્પષ્ટ હતું કે કેદીઓ આ ફોનનો ઉપયોગ કરતા હતા અને ઝડતી સ્કવોડ આવ્યાનો ખ્યાલ આવી જતાં તેમણે સીમકાર્ડ કાઢી બેટરી લગાવી ઢાંકણું લગાવે તે પહેલાં જ સ્કવોડ આવી પહોંચતાં મોબાઇલ ટોયલેટ તરફ સરકાવી દીધો હતો.

અનધિકૃત રીતે મોબાઇલ ફોન લાવવા અને તેનો ઉપયોગ કરવા બદલ નારાયણ સાંઇ સહિત પાંચેય કેદીઓ વિરુધ્ધ અધિનિયમ ૪૨, ૪૩, ૪૫(૧૨) અંતર્ગત સચીન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. આ મોબાઇલ ફોન ઉપર કોણે અને કોની સાથે વાત કરી છે તે જાણી શકાય તે માટે ફોન એફ.એસ.એલ.માં મોકલવા પોલીસને જેલ સત્તા દ્વારા લખવામાં આવ્યું હતું.
મોબાઇલની બાતમી આપનાર કેદી ઉપર હુમલો
જેલમાં મોબાઇલ ફોન મળી આવવાની ઘટના બાદ આ બાતમી સાથી બંધક કેદી ભૂપત ભુરા ચૈહાણે આપી હોવાની શંકા રાખી તેની ઉપર હુમલો કરાયો હતો. 20મીએ ઝડતી સ્કવોડને મોબાઇલ ફોન પકડાઇ જતાં મુસ્તાક પરમાર, પરેશ ઉર્ફે પાંચો જોગડીયા, તારીક કુતુબુદ્દીન સૈયદ અને નવીન દલપત ગોહિલે બીજાં દિવસે સાથી કેદ ભૂપત ચૌહાણને ઘેર્યો હતો. કેદી ભૂપત ચૌહાણ ઉપર ચારેયે હુમલો કરી દઇ પોતાને પકડાવી દેવાની શંકા રાખી માર માર્યો હતો. તે સાથે કેદી ભૂપત ચૌહાણનાં બાળકોને પણ મારી નાંખવાની ધમકી આપવામાં આવતાં પોલીસે નારાયણસાંઇ સિવાય બીજા ચાર વિરુદ્ધ મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંતર્ગત પણ ગુનો નોંધ્યો હતો.
