શ્રીલંકાએ ઇસ્લામિક રાજ્ય (આઈએસઆઈએસ) અને અલ કાયદા સહિત 11 ઇસ્લામિક કટ્ટરવાદી સંગઠનો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. બુધવારે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. એટર્ની જનરલ દપ્પુલા ડી લીવરાની ઓફિસથી જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે તેઓએ અલ કાયદા અને આઈએસઆઈએસ તેમજ નવ સ્થાનિક ઉગ્રવાદી સંગઠનો પર પ્રતિબંધને મંજૂરી આપી દીધી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ગેઝેટ જારી થતાં આ પ્રતિબંધ ટૂંક સમયમાં અમલમાં આવશે. વર્ષ 2019 માં ઇસ્ટર રવિવારે આત્મઘાતી હુમલો કર્યા પછી તરત જ શ્રીલંકાએ સ્થાનિક જેહાદી સંગઠન રાષ્ટ્રીય થોહિથ જમાત અને અન્ય બે સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો હતો. આ હુમલામાં 270 લોકો માર્યા ગયા હતા, જેમાંથી 11 ભારતીય હતા.
વર્ષ 2019 માં તત્કાલીન રાષ્ટ્રપતિ મૈત્રીપલા સિરીસેના દ્વારા રચાયેલી વિશેષ તપાસ સમિતિએ આ બૌદ્ધ પ્રભાવિત દેશમાં કટ્ટરવાદની હિમાયતી મુસ્લિમ કટ્ટરવાદી સંગઠનો પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી.
