કેવડિયા,
દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી નિમિત્તે કેવડિયા ખાતે નિર્માણ થયેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલી ૧૮૨ મીટરની સૌથી ઉંચી પ્રતિમાના અનાવરણ સાથે જ દુનિયાભરમાં મોટી નામના મળી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શનિવારે કેવડિયા સ્થિત દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા. ત્યાર બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેવડિયામાં સંબોધનની શરૂઆત ગુજરાતીમાં કેમ છો કહીને કરી હતી અને સૌનો આભાર માન્યો હતો, તેમણે કહયું કે ગુજરાત સતત પ્રગતિશીલ રાજ્ય છે.
કેવડિયામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેવડિયા આજે સવારે 10:30 વાગ્યે કેવડિયાની પહોંચ્યા હતા. જ્યાં તેઓએ વેલી ઓફ ફ્લાવર ખાતે આગમન અને પીપળાના વૃક્ષનું વાવેતર કર્યું હતું. આ ઉપરાંત પ્રાથના સભામાં પણ જોડાયા હતા.
ત્યારબાદ સરદાર વલ્લભભાઇ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ કરી હતી. અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરી નિહાળી હતી. રાષ્ટ્રપતિએ 20 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા દેશના પ્રથમ ગ્રીન ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનનું આજે ખાતમુર્હુત કર્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. આજે સવારે વડોદરા એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતુ. આ પ્રસંગે રેલવે મંત્રી પિયુષ ગોયલ, વડોદરા સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર, ક્લેક્ટર ઉપસ્થિત રહ્યા હતા.
રેલવે સ્ટેશનની છત પર 200 કિલોવોટ વીજળી ઉત્પાદન કરતી સોલાર પ્લેટો લગાડવામાં આવશે રેલવે સ્ટેશનમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઇકો વોટરલેશ બાથરૂમ, ઈસ્યુલેટેડ સીસા, દીવાલ બનાવાશે સ્ટેશન માસ્ટરની ઓફિસ, પ્રવાસીઓ માટે સામાન્ય પ્રતિક્ષા કક્ષ, વીવીઆઈપી પ્રતિક્ષા કક્ષ, વિદેશી પ્રવાસીઓ માટે લોન્જ બનાવવામાં આવશે.
નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને પ્રવાસીઓની ભીડ વધી રહી છે, જેથી પ્રવાસીઓ વધતા રેલવે સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવાયો હતો.
આ પહેલા પ્રવાસીઓના સવલત માટે ફોર લેન રોડ બનાવી દેવામાં આવ્યો છે અને હવે રેલવે જંક્શન પણ બનશે. જેમાં 18 કિલોમીટરની ડભોઇથી ચાંદોદની બ્રોડગેજ લાઈનને 32 કિ.મી. લંબાવી ચાંદોદથી સીધી કેવડિયા લઇ જવામાં આવશે. કેવડિયામાં ઇકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઇકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશે જે બિલકુલ પ્રદુષણ મુક્ત રહેશે.
